ઠરી રહેલો જઠરાગ્ની જ્વાળામુખી બની શકશે ?!

ક્ષમાનો પત્ર : 10 
જુગલકીશોર===============================================  
વ્યથીત નીખીલ,
તારી વ્યથા ગયા પત્રમાં વાંચી. ભુખ્યાં જનોના જઠરાગ્નીને હવે જાગવાપણું જ રહ્યું નથી !! એ હવે ઠરી ગયો છે. જ્વાળામુખી બની શકે એવો એ જઠરાગ્ની હવે ધીમે ધીમે બુઝાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં ભુખ અને વેદના જ જોવા મળે છે. દરરોજ છાપામાં કોઈ ને કોઈ આત્મહત્યા કરીને જઠરાગ્નીમાં આહુતી - પોતાની સ્તો ! - આપી રહ્યાના સમાચાર આવતા રહે છે. આટલી આત્મહત્યા આ દેશમાં ક્યારેય સાંભળી નહોતી. ગરીબ માણસ આત્મહત્યાને પાપ ગણીને એનાથી આવનારા અનેક જન્મો દુ:ખમાં જાય એવી માન્યતા ધરાવતો જ હોય છે. ને છતાં હવે એ જાણી ગયો છે કે આવતા ભવની કોને ખબર છે ? આજે તો હવે બાળકોનું પેટ ભરવાનીય તાકાત કે તક રહી નથી પછી આવતા અવતારની ક્યાં માંડવી ?

પરીણામે એક પછી એક આ સૌ દુખીયારાંઓ જીવન ત્યજીને કોઈ અગોચર સુખના સ્વપ્ન સારુ થઈને ચીરનીદ્રાને વશ થઈ જવામાં છે !

આ દેશમાં આજે બધે જ એક ચર્ચા છે, મોંઘવારીની. પરંતુ “એ તો વૈશ્વીક સમસ્યા છે એટલે ભારત પણ એમાંથી બાકાત શી રીતે રહી શકે ?” એમ કહીને આ દેશના શાહમૃગો પોતાનું મોં સંતાડી દેશે. અને એમા જ રાજકીય - સામાજીક - શૈક્ષણીક - આર્થીક અને એવી એવી જે જે ઈક-ઈક-ઈક સંસ્થાઓ છે તે બધીયું કાગારોળ કરી મુકીનેય છેવટે તો પોતાનું ભાણું જ ભરતી રહેશે….

નીખીલ, આપણી ચામડી હવે સંવેદનશીલતા ખોઈ બેઠી છે. કોઈ ને કોઈ નશો પીવડાવતાં રહેતાં સામજીક અને રાજકીય બ્યુટી પાર્લરોમાં હવે ચામડીને ગોરી અને સુંવાળી બનાવાતી નથી ! ત્યાંય હવે ચામડીને સખ્ખત અને નઠોર બનાવી દેવાનો જ કાર્યક્રમ ચાલે છે. સૌને હવે ફાવી ગયું છે. છાપાં હવે સહેજ પણ ગરમી પડે એટલે મધ્યમ વર્ગને ઘરમાં બેઠાં બેઠાં વળતા પરસેવાની ફરીયાદ કરે છે, કારણ કે એના ઘરાકોય મધ્યમ વર્ગીય લોકો જ વધુ હોય છે.

ગરીબી નહીં પણ ગરીબો એ આ દેશનો માથાનો દુખાવો છે એમ ગણીને જેમ બને તેમ એને જલદી ખતમ કરી નાંખવાની પેરવી એ આજની છેલ્લામાં છેલ્લી કવાયત છે. નીખીલ, તું હવે છાપાં વાંચવાનાં બંધ કરી દે. એમાં હવે કાંઈ નથી. એ સૌને એમના ભાગ્ય ઉપર છોડી દેવામાં આવ્યાં છે.

હા, હજીય કેટલુંક પત્રકારત્વ કેવળ આ શ્રમજીવીઓ અને સબડી રહેલાંઓની વાતો કરવાનો ધર્મ બજાવીને મારા તારા જેવાની શ્રદ્ધા ટકાવી રહ્યાં છે. આપણે એમની વાત સૌમાં ફેલાવીને કંઈક કરી શકીશું. આપણે ગામડે જઈએ કે શહેરમાં જ રહીએ પણ આપણું કાર્ય અને ધ્યેય બસ, અહીં જ આસપાસમાં છેલ્લા શ્વાસે જીવી રહેલાંઓ માટે જ વીચારવા-જીવવામાં રહેલું છે.

ખબર નથી, આપણે શું કરી શકીશું. કઈ રીતે આગળ વધી શકીશું, પણ હવે વહેલી તકે આવી જ કામગીરી કરતી સંસ્થાઓમાં જોડાઈને જ આપણને હાશ થશે…

જેમને સાંજનું વાળુ મળવાનું નથી એમની ‘હાશ’ આપણે ક્યારે સાંભળીશું  ?!!!!!
–ક્ષમાની વેદના ભરી ને અસહાય યાદ !

ગઈ કાલે પબ્લીશ થયેલા ક્ષમાના પત્રના અનુસંધાને આજના જ સંદેશમાં વાંચેલા એક મુખ્ય સમાચારોમાના આ એક સમાચાર વાંચો !!! :

ફક્ત અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ જ માસમાં આત્મહત્યાના બનાવોની જાણકારી :

જાન્યુઆરી-08 પુરુષોની  : 34 સ્ત્રીઓની : 19 કુલ 53

ફેબ્રુઆરી-08માં પુરુષોની : 23 સ્ત્રીઓની: 19   કુલ 42

માર્ચ-08માં     પુરુષોની :34 સ્ત્રીઓની : 20   કુલ 54 

ત્રણ માસમાં       કુલ પુ. : 91   સ્ત્રીઓ : 58   કુલ :149   

 

હાઈકુમાં કેટલા અક્ષરો ?

ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ.
–સંકલન : જુગલકીશોર.
——————————————————————————————————-
 (હાઈકુ : 4)
[ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ....: ]

હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને એક પંક્તીની ઉક્તી પણ કહે છે. સદીઓથી એનું પંક્તીમાપ નક્કી થયેલું જ છે. એના અક્ષરો તો સત્તર જ હોય છે તે જાણીતી વાત છે. એ અક્ષરો 5-7-5 પ્રમાણે ત્રણ પંક્તીમાં વહેંચાય છે એ પણ નીશ્ચીત જ છે.

આપણા મંદાક્રાંતા,પૃથ્વી, શીખરીણી જેવા સત્તરાક્ષરી છંદો પણ જાણે હાઈકુની જ અવીભાજીત પંક્તી હોય એવું લાગે છતાં એમાં ફેર એ છે કે હાઈકુમાં ગણોની વ્યવસ્થા કે માત્રામેળના નીયમો લાગુ પડતા નથી. યતી પણ નક્કી કરેલી જગ્યાએ આવતી નથી.

શ્રી સ્નેહરશ્મી પોતાની પ્રસ્તાવનામાં નોંધે છે કે  હાઈકુમાં 17 અક્ષરો અનીવાર્ય છે શું ? એવો પ્રશ્ન થતો જ રહ્યો છે એટલું જ નહીં આ સત્તરાક્ષરો સામે બળવો પણ થયો છે. છતાં આ બંધારણ બદલાયું નથી એ જ એની સધ્ધરતા બતાવે છે. એકાદ અક્ષર ઓછો-વધુ થાય તો ચલાવી લેવામાં આવ્યો છે એ પણ હકીકત રહી છે. અને 15 કે 18 અક્ષરોના હાઈકુ જોવા મળે જ છે. આપણી માતૃભાષામાં પણ આ જ નીયમ યથાવત્ રહ્યો જણાય છે.

આટલી મર્યાદીત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી  એ બહુ સંયમ અને વીવેક માગી લેનારી બાબત છે. આ મર્યાદા અંગે ગુજરાતીના બે વીદ્વાનો સાથે સ્નેહરશ્મીને જે લાંબી વીચારણા થઈ એના ફળસ્વરુપે એમણે બે હાઈકુનો દાખલો આપીને એક બહુ જ ઉપયોગી સામગ્રી પ્રસ્તાવનામાં પીરસી છે. આ આખી ચર્ચા આપણ સૌને ઉપયોગી થાય એમ માનીને અહીં મુકવા મન છે.
‘ઉંડી અને સુક્ષ્મ સમજવાળા’ બે કવીઓની સાથે સ્નેહરશ્મીએ જે પ્રયોગો કર્યા હતા તેની વાત પણ કરી લઈએ. આ બન્ને કવીઓ તે શ્રી હસમુખ પાઠક  અને શ્રી નિરંજન ભગત.  બન્નેના એક એક હાઈકુ કે જે સત્તરથી વધુ અક્ષરોનાં હતાં તેને  અંગે બહુ વીગતે અને અર્થસભર વાતો લખી છે. આપણે પણ તેમાં ડુબકી મારી જોઈએ !

શ્રી પાઠકનું હાઈકુ આ પ્રમાણે હતું :

તળિયે સ્વસ્થ ચંદ્રમા
ભાંગતો ચંચળ સપાટી પર
ઓચિન્તી કોઈ લ્હેરમાં.
શ્રી ભગતનું હાઈકુ આ પ્રમાણે હતું :

હું ને મારો પડછાયો–
પણ રાતે જ્યાં દીપક બુઝ્યો
હું ત્યાં એકલવાયો.

આ બન્ને હાઈકુ વીષે શ્રી સ્નેહરશ્મિ ઉંડી વીચારણાને અંતે જે ફેરફારો સુચવે છે તેમાં રહેલી હાઈકુના સ્વરુપ વીષેની વીભાવના આપણને  ખુબ જ ઉપયોગી થશે….તેઓ કહે છે :


” જેમ જેમ આ કાવ્ય ઘુંટાતું ગયું તેમ તેમ પ્રશ્નો ઉઠવા લાગ્યા કે એની ત્રીજી પંક્તિ ન હોય તો કાવ્યના સ્વરૂપમાં કંઈ ફેર પડે ખરો ? બીજી પંક્તિમાંનો ચંચળ શબ્દ ત્રીજી પંક્તિને  પોતાનામાં સમાવી નથી દેતો ? જો ત્રીજી પંક્તિ ન હોય તો વ્યંજનાને વધુ  અવકાશ મળે એવું લાગતું નથી ? જો એ સાચું હોય  તો ત્રીજી પંક્તિના આઠ અક્ષરો આપોઆપ ઓછા થઈ જાય, બાકી રહેલા 19માંથી ‘ચંદ્રમા’ની જગ્યાએ ‘ચંદ્ર’ અને ‘ભાંગતો’ની જગ્યાએ ‘ભાંગે’ પ્રયોગ થાય તો સત્તર અક્ષરોનું માપ જળવાઈ રહે અને અર્થને અનુલક્ષીને 5-7-5 મુજબ ત્રણ પંક્તિમાં વિભાજન પણ થઈ શકે.

“શ્રી પાઠક સાથે ચર્ચા થતાં તેમણે નીચે પ્રમાણે પાઠ યોજ્યો. હાઈકુના સ્વરૂપને સમજવામાં એમનો મૂળ પાઠ (ઉપર દર્શાવ્યો છે તે ) અને આ નવા પાઠનો તુલનાત્મક અભ્યાસ ઉપયોગી જણાશે. એ આ પ્રમાણે છે :
તળિયે ચંદ્ર
સ્વસ્થ ભાંગે સપાટી
ઓચિન્તી લ્હેર.
” શ્રી ભગતની (ઉપર જણાવી છે તે ) કૃતિ ઉપર હું રટણ કરતો ગયો તેમ તેમ એમાં રહેલું હાઈકુ બહુ સુરેખ રીતે મારા મનમાં આકાર લેતું થયું. અહીં પણ પેલો પ્રશ્ન મને ઉદ્ભવ્યો, એના 25ની જગ્યાએ 17 અક્ષરમાં એ ન સમાઈ શકે ? બીજી વાત જે મારા ધ્યાનમાં આવી તે  “હું ત્યાં એકલવાયો”ના વિધાનને લગતી હતી… હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ બોલતો નથી. હાઈકુનો કવિ “હું ત્યાં એકલવાયો” કહેવાને બદલે તે એકલવાયો છે એવું આપણને લાગે એવી પરિસ્થિતિ સર્જતો હોય છે. શ્રી પાઠક સાથે ચર્ચા નીકળતાં તેમને નીચે પ્રમાણેનો પાઠ યોજ્યો :
હું — પડછાયો
તિમિરે બુઝ્યો દીપ…
એકલવાયો.
આશા રાખું છું કે આ વીગતો તને કંઈ કોમેન્ટ કરવા પ્રેરશે. વધુ હવે પછી….!
============================================================

સ્નેહરશ્મીને ‘હાઈકુ-રશ્મી’ કહેતા કાકાસાહેબના બે પત્રો..!!

સ્નેહરશ્મિને કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ.
{સંસ્કૃતિ-ફેબૃઆરી,૧૯૬૭}
—————————————————————————————————————–
રાજઘાટ, નવી દીલ્હી. તા.૨૨-૨-૬૬.
પ્રીય ઝીણાભાઈ,
તમારા મધુર મીઠા કાગળ…પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં ‘તમારી દુનીયા’એ (સ્નેહરશ્મીનો  હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચીત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, “હાઈકુ-રશ્મિ” કહીશ.

કાશ્મીરના મમ્મટે ‘અનલંકૃતી પુનઃક્વાપી’ કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ માફી માગી જણાય છે. પણ એવું શા માટે ? અલંકાર એ કાંઈ કાવ્યનું સર્વસ્વ નથી-કેવળ ઘરેણાં છે. હું તો માનું છું કે ક્ષમા યાચીને નહીં પણ પુરા અધીકાર સાથે સાહીત્યક્ષેત્રમાં પોતાનું ઉંચું સ્થાન છે એમ જાહેર કરવા જ હાઈકુનો અવતાર છે. તમે હાઈકુનો કેવળ છંદપ્રકાર અપનાવ્યો નથી પણ હાઈકુ પાછળનો આત્મવીશ્વાસ પણ અપનાવ્યો છે….

કેટલાંક નાજુક ફુલોની સુગંધ પણ એટલી નાજુક હોય છે કે તે વરતાય, પણ ઓળખાતી નથી. પણ એ જ એનું માહાત્મ્ય અથવા કાવ્યત્મ્ય….હવે તમારે નાનાં હાઈકુઓનો ધોધ વરસાવવો જોઈએ……..
                           —————————————————-

તા.૯-૩-૬૬.

…બધા સાહીત્યકારો કહે છે કે ઉત્તમ કાવ્યમાં ધ્વની એટલે કે વ્યંજના હોવી જોઈએ. શબ્દો કે જે સીધો અર્થ આપે છે તે અભીધા…પણ કવીઓને, સીધી રીતે ન કહેતાં, આડકતરી રીતે કહેવામાં મઝા આવે છે. તે એટલે સુધી કે કાવ્ય માટે એ લોકોએ ‘વક્રોક્તિ’ નામ પસંદ કર્યું. ‘વક્રોક્તિ કાવ્ય-જીવિતમ્’  કહીને એમણે કહ્યું કે “કવીઓ વક્રોક્તી-માગ-નીપુણ” હોવા જોઈએ.

હવે, “સાદા શબ્દો વાપરીને ધ્વની અથવા વ્યંજના ઉત્પન્ન કરવી” એમાં વીવીધ અર્થો સુચવવાની જેટલી શક્તી કવીની હોય તેટલી જ શક્તી એ સુચનોને સમજવાની વાચકમાં પણ હોવી જોઈએ, નહીં તો ભેંસ આગળ ભાગવત થવાનું.

તેથી કવીતામાં બે જાતનો વીશ્વાસ હોવો જોઈએ :
૧) સુચન-અર્થ- પહોંચાડવાની શક્તી મારા શબ્દોમાં અને મારી રચનાઓમાં(કવીમાં) છે એવો આત્મવીશ્વાસ અને
૨) મારા શબ્દોમાં જે સુચન હશે તે ઝીલવાની શક્તી મારા વાચકોમાં હશે તેવો વીશ્વાસ…આ બન્ને પ્રકારના વીશ્વાસને હું આસ્તીકતા કહું છું……

કાવ્યશાસ્ત્રનું જ ઉદાહરણ લઈએ તો, એક જણે કહ્યું, ” ગતો અસ્તં અર્કઃ !” (સુર્ય આથમ્યો) આ વાક્ય હાઈકુનો નમુનો ગણું છું. આનો અર્થ બ્રાહ્મણોએ કર્યો, “સંધ્યાવંદનનો સમય થયો.” ચોરોએ કર્યો, ” હવે ખાતર પાડવાની તૈયારી કરવી જોઈએ.” બાળકોએ અર્થ કર્યો, “ઘેર જઈ મા પાસેથી પ્રમોદી મેળવી શકાય.”

તમારા હાઈકુઓમાં ઓછામાં ઓછા શબ્દો વાપરી..નોંધ જ કરવામાં આવે છે.પણ તે એવી ખુબીથી કે એમાંથી અનેક જાતની વ્યંજનાઓ કાઢી શકાય……

હાઈકુના છંદ વીષે મેં તમને કહ્યું જ છે કે જુના વખતમાં જાપાની છંદનું અનુકરણ કરી કોકે અંગ્રેજીમાં પાંચ લીટીઓના નમુના આપ્યા હતા એ મને ખુબ જ ગમ્યા હતા. તમે કહ્યું હતું કે તેને તાન્કા કહે છે. અને એમાંથી જ હાઈકુની ઉત્પત્તી થઈ છે…. અર્થાન્તરન્યાસમાંથી છેલ્લી લીટીની કહેવત બને છે તેમ જ તાન્કામાંથી હાઈકુ આવ્યાં.

હાઈકુમાં શબ્દો ઓછા, વર્ણન સાદું અને વ્યંજનાને અવકાશ અપરીમીત - અપાર ! એવાં હાઈકુ દ્વારા બોધ પણ અપાય અને ઝાટકણી પણ કઢાય. હાઈકુમાં નવેનવ રસ વ્યક્ત થઈ શકે પણ એ તો સમર્થ કવીનું કામ. નીરસતા ઢાંકવા માટે કોઈ હાઈકુ વાપરે તો જોતજોતામાં ઉઘાડો પડે….હાઈકુની કેટલીક લીટીઓ કહેવત જેવી પણ થઈ શકે, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે……
–કાકાના સપ્રેમ જય હાઈકુ.
                                         —-===000===—-

સ્વ. સ્નેહરશ્મીના હાઈકુ-ખજાનામાંથી કેટલાંક !!

મારા પ્રીય ગુજરાતી મીત્ર જુ,

તારો પત્ર મને મળ્યો જેમાં તેં હાઈકુ અંગે ઘણી વાતો ટુંકાણમાં આપી છે. પણ તને ખ્યાલ ન રહ્યો હોય તો જણાવું કે હું જાપાની માનવ હોઈ મારા આ અતી પ્રીય સાહીત્યસ્વરુપ વીષે ઘણું જાણું છું. એની સાબીતી રુપે આજે હું જ તને એક સરસ માહીતી મોકલી રહ્યો છું જે જાણીને તને ખુબ જ આનંદ થશે. 

 માર્ચ ‘69ના ‘સંસ્કૃતિ’ માસીકમાંથી મને પણ એક લેખ શ્રી ચંન્દ્રશંકર ભટ્ટનો મળી આવ્યો છે જેમાં એમણે સ્નેહરશ્મીના હાઈકુસંગ્રહ “સોનેરી ચાંદ…..”નું રસદર્શન જેવું વીવેચન કરીને એમનાં હાઈકુઓનો આપણને તરબતર કરી મુકે એવો ખજાનો ખોલી આપ્યો છે ! આ લેખને જ આધારે એની કેટકીલ બાબતો સાવ સંક્ષેપમાં તને મોકેલીને તારા પ્રેમનો બદલો વાળવા ઈચ્છું છું !!  

સાંભળ, ભાઈ જુ ! [ તારું આખું નામ તો જાણતો નથી પણ અમારે જાપાનમાં અમારા કદની જેમ નામો પણ ટુંકાં જોવા મળે છે. તારું આ જુ નામ જાપાની જેવું જ લાગ્યું એટલે આત્મીયતાય વધી !]  

આ લેખમાં શ્રી ભટ્ટે સ્નેહરશ્મીનાં હાઈકુસંગ્રહમાંથી વીણી વીણીને સુંદર હાઈકુઓનો પરીચય કરાવ્યો છે તેને ફક્ત શીર્ષક આપીને જ તારી અમક્ષ મુકી રહ્યો છું. એમણે સ્નેહરશ્મીનાં હાઈકુઓને અનેક વીભાગમં વહેંચીને અપણા માટે સરળતા કરી આપી છે, આ હાઈકુઓની અનેકવીધ ખુબીઓ સમજવા માટે. [ હવે આ બધાં હાઈકુને ત્રણ પંક્તીમાં રજુ કરવાં સહજ નથી તેથી એને તમારા અક્ષરમેળ છંદની જેમ સીધી લીટીમાં લખીને મુકીશ. દરેક લીટીને અંતે / આવું હાઈફન મુકીને પંક્તી છુટી વાચાવાની તકલીફ તારે લઈ લેવાની, સમજ્યો ભાઈ જુ ?! ]

——————————————————————————————– 

હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે :

“હિમશિખરે / ફૂટે પરોઢ : અહો ! / સૂર્ય હાઈકુ ! ”

સ્નેહરશ્મીના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવીસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જો :

નાજુક તારી / આંગળી ચૂંટે ફૂલ - / ઘવાય નેણ

પરોઢે ચૂંટું / ફૂલ હું ; ફૂલછાબ / બનતી ભીની

વર્ષા અને ચંન્દ્રનાં વીવીધ રુપો :

ઝાપટું વર્ષી / શમ્યું; વેરાયો  ચન્દ્ર / ભીના ઘાસમાં

પવન  દોડે — /  ઝીંકાય  પીઠે તાતાં  / વર્ષાનાં તીર

ગયું  ઝાપટું  / વર્ષી  : કીરણો  ભીનાં / હવે હવામાં
 ચન્દ્રનાં વીવીધ  રુપો  :

ભૂલી ગૈ ચંદા / મોગરાની  કુંજમાં  / ઓઢણી એની

ડુંગર  ટોચે / ચાંદો : ખીણે ચાંદની  /  રહી વીંધાઈ

ખંડ ખંડમાં / ભાંગી તળાવે  લસે  / ચંન્દ્ર અખંડ [વીરોધી સંયોજન દ્વારાઉપસતું ચીત્ર] ચઢે  આકાશે /  ચંન્દ્ર: પર્ણે ઝીલાતી  / ચાંદની  કૉળે  [પાંદડાં  પર  ચારુતાનું દર્શન]

પોયણી  વચ્ચે / તરે  હંસલો : ચંન્દ્ર /  ચઢ્યો  હિલ્લોળે [નાનકડા હાઈકુમાં ચાંદની-પોયણી-હંસની ધવલતા દ્વારા આભ અને જલરાશીનો વ્યાપ ગુંથાયો છે.]
મૃગની આંખે ચન્દ્ર :
બે ડાળ વચ્ચે / ઝલાયો ચન્દ્ર: જુએ / કૌતુક મૃગ

ચીત્રાત્મકતા :

સાગરે ઓટ / ચિતરામણ કાંઠે /  કરચલાનાં 

પર્ણ વિનાની / ડાળીઓમાં  સૂરજ / ટીંગાતો જાય

પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચીત્રો :

ઊડી ગયું કો / પંખી કૂજતું : રવ  /  હજીયે  નભે

ઝૂંપડીઓના / ધૂમાડે  નંદવાયાં   /  રવિકિરણો  (ધુમાડાની ગતીલીલા)

ચડતી  પ્હાડે  / ગાડી : નીચે ખેતર  / ચગતાં  રાસે  ( ગતી)

ઠીંકરી  જળે /  ઠેકતી  જાય: સરે / ઝાંઝર  એનાં  (ગતી-ધ્વની : ગુજરાતીનું બહુ જાણીતું/માનીતું  હાઈકુ)

વીજ ગોખમાં  /  ચીતરી  ગૈ  ટહુકો /  કોક  અદીઠો (કાન-આંખ/ધ્વની-રંગોનું સંયોજન) લીલુડાં વૃક્ષ, / શ્યામ  પંખી : રૂપેરી  /  વાદળી : સૂર્ય (રંગલીલા)

નીલ આકાશે  / તરે  હંસલો : નીચે  / સાગર  નીલ  (આકાશ-સાગર-ને સાંધ્યાં રંગ/હંસથી !)

શ્યામ જલધિ  / ઊગે  ચન્દ્ર : રૂપેરી  /  છલકે  મોજાં ( રંગવીરોધ)

ભાવસ્પર્શથી આલેખાતાં વીવીધ  હાઈકુઓ :

પૂર્ણિમા મથે  / સમાવા  અબ્ધિ-હૈયે — / ચૂંદડી  લ્હેરે

નવવધૂએ  /  દીપ  હોલવ્યો : રાત  /  રૂપની  વેલ

પડે  ઊપડે  / પાંપણ  તારી  : જંપ / ન મારાં  નેણે

દેવદર્શને  / ગયો  મંદિરે : જુએ / વેણીનાં  ફૂલ  !

ઘરથી  વને  / ગયો  તો રસ્તે  વેલ / લજામણીની

જાગ્યું  બાળક /  પેખી  માને, મલકી /  ફરીથી  પોઢ્યું

પંખીનું  યુગ્મ / બાંધે ખંડેરે  માળો / બિસ-તંતુનો

ખખડે  સૂકાં  / પર્ણો નીચે;  ઉપર  /  કૂંપળ  ફૂટે

વ્હેરાય  થડ ; /  ડાળે માળા  બાંધતાં  /  પંખી કૂજતાં  [ આપણે  અહીં કૂજતાંની જગ્યાએ 'ધ્રૂજતાં' કરી શકીએ !]

નવાં  ફૂલોએ  /  ગયા  ઢંકાઈ   કાંટા /  જૂની  વાડના

પુરાણુ  ઘર : /   લ્હેરે  મધુમાલતી  /  આંગણે  નવી

એ જ પોલાદી  / ટેંક : રમે  છે  નીચે /  અળશિયાં  ત્યાં. (અળશીયાં  માટીના નવસર્જન માટે  જાણીતાં  છે)

હીરોશીમાની  /  રજ  લઈ  જનમાં /  ઘૂમે  વસંત (અતીત સાથે વર્તમાનનો મેળ/દરેક  કાંઠે  ખંડેર : /નદી  પુરાણી : વ્હેણ/જળનાં  તાજાં         પદાર્થપ્રતીક બને છે)

કૂંપળ  તાજી — / જુએ  યૌવના  આંસું  / આંખનાં  ખાળી
આશા-નીરાશા : મૃત્યુનું માંગલ્ય :  મુલ્યહ્રાસ વગેરે :
કપાયો  નભે / કનકવો : ફીરકી  / કરે  ભરેલી
અજાણ્યાં  ગયાં /  ખૂલી દ્વાર : કલગી  /  મૃત્યુને  કરે !
પેપરવે’ટ  /  સામે  મારી;  કાગળ / ચોગમ  ઊડે
પરોવાયા  આ /  મણકા  સૂત્રે :  છેડા / બે  હજી જુદા
ચન્દ્ર  નભમાં /  ફૂલ  લતાએ  : કુંજે / ટહુકો  નહીં !

નવી અભીવ્યક્તી :

વિપર્ણ  વૃક્ષ : / શાખાઓમાં વિલસે  / કલા શૂન્યની

પતંગિયું  ત્યાં / થયું  અલોપ : શૂન્ય / ગયું  રંગાઈ  ( ગુજ.નું જાણીતું-માનીતું  હાઈકુ) છાતીએ  શીલા / વદને  વજ્ર : નેણે /  છલકે  વાણી

અમાસ  ઘોર  / પ્રકાશ-છોળે હૈયાં  /  ઝાકમઝોળ

ગીચ  ઝાડીમાં  / અમાસ  મૂંગી ફરે  /  બોલે તમરાં

શિખરે  વેરે  / સૂરજ  સોનું : નીચે  / ખીણ અંધારી    (જાણીતાં હાઈકુ)

ભરું  પાણીડાં  / સવા  લાખની  મારી /  ચૂંદડી  કોરી     (            ) 

જુએ  હરિણી /  આંખ  સિંહની : હિમ /  વસંત-પુષ્પે

નિષ્કંપ કુંજે /  ફૂલ : શાંત સાગરે  / તરણી  મારી

સમાપન :

કલગી  આ મેં  / ગૂંથી  અન્યને  ફૂલે;  /  સૂત્ર    મારું 

( હાઈકુને ગુજ.માં લઈ આવનાર- સૂત્ર જ મહત્ત્વનું  હોય ને !!)
                                           —====000====—

  

હાઈકુ-વીશ્વની ટુંકી સફરે… : 1

જાપાની કાવ્યપ્રકાર હાઈકુની અલૌકીક દુનીયામાં…..!

–જુગલકીશોર====================

નોંધ : 
[મીની વેકેશન દરમ્યાન ઉ.જોશી સંપાદીત 'સંસ્કૃતિ'ના 1965-67ના અંકો --કનુભાઈ જાનીના આશીર્વાદથી -- મળી ગયા હતા. 1965ના ઓગસ્ટનો સંસ્કૃતિનો અંક હું સણોસરા ભણતો ત્યારે મેં વાંચ્યો હતો. એ અંકમાં સૌથી પ્રથમ વાર સ્નેહરશ્મીનાં 9 હાઈકુ પ્રગટ થયેલા તે આજેય યાદ છે. ગુજરાતમાં હાઈકુનો જન્મ આ રીતે થયો હતો !! [એ વાતનો જોકે વીરોધ પણ થયેલો] પણ સ્નેહરશ્મીને ગુજ.હાઈકુના જનક કહેવાય. એનો હાઈકુસંગ્રહ 365 રચનાઓ સહીત પ્રગટ થયો તેમાં એમણે અદ્ભુત કહી શકાય એવી અભ્યાસપુર્ણ પ્રસ્તાવના આપી છે. મારી આ લેખમાળા એના જ આધારે લખી છે. મારું તો ફક્ત લખાણ જ છે.
 
આશા છે, આ લેખમાળા કે જે મેં મારી ભાષા-શૈલીમાં મુકી છે તે સૌને ગમશે. –જુ.]

===============================================================
 
મારા પ્રીય કાલ્પનીક મીત્ર કાસુબાવા, 

તને થશે કે આ કોણ વળી નીકળ્યો, મને પ્રીય મીત્ર કહેનારો ઈંડીયન !! પણ જો ભઈલા, મારે તારી ગરજ પડી છે. વાત જાણે એમ છે કે મારે ચચ્ચાર બ્લોગ છે પણ એમાંના આવા પ્રકારનાં લખાણો માટે એક જ બ્લોગ હોઈ અને એ બ્લોગ પર લખાણોનો મારો ચાલતો હોઈ આ ‘પત્રમ પુષ્પમ’ બ્લોગનો  ઉપયોગ કરવો પડે એમ છે. અને એના પર લખવું હોય તો ટપાલ રુપે જ લખાય ને ! એટલે પછી પત્ર રુપે જ આખી લેખમાળા લખવાની છે. મીત્રો તો ઘણાય છે આ લેખમાળા સંબોધવા માટે પરંતુ આ વાત હાઈકુની હોઈ તમારા જાપાની ભાયું હારે વાત કરીએ તો ઠીક રે’ એમ વીચારીને તને આમાં નાખ્યો છે. 

તને કંટાળો આવે ને તોય તું કાંઈ ‘ના’ કહી શકવાનો નથી. મારા કેટલાય વાચકોની જેમ તુંય આ લેખમાળાને સહન કરજે, બીજું શું ?!! 

તો આપણે હવે મુળ વાત પર આવીએ.
આ હાઈકુ સમગ્ર વીશ્વમાં જે માન્યતા પામ્યું અને એમાં સૌએ જે રસ લીધો એમાં એની અનેકાનેક વીશેષતાઓ જણાઈ આવે છે. હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. કાવ્યવીશ્વમાં એ સૌથી નાનું સ્વરુપ છે. છતાં એમાં અપાર શક્તી રહેલી જણાય છે. 1904-05ની સાલમાં રશીયા સાથે તમારે જાપાનીઓને જે લડાઈ થઈ એમાં તમે રાષ્ટ્રની રીતે ને શરીરના કદથીયે નાના હોવા છતાં રશીયાને જે સ્વાદ તમે ચખાડ્યો હતો તે યાદ આવી જાય છે, આ હાઈકુના કદ અને તેની વ્યાપક શક્તીઓની વાત કરતાંવેંત  જ ! 

તમે જાપાની લોકો હાથીદાંત પરના  મીનાકારી કામ અને ધાતુ પરના નકશીકામથી  જાણીતા છો જ. અને બોન્સાઈ તો તમારી જ પહેચાન છે, દુનીયાભરમાં ! આવી નાજુક કામગીરી જો હાઈકુ જેવા કાવ્યસ્વરુપમાં ન ઉતરે તો જ નવાઈ !! તમે લોકોએ સાહીત્યવીશ્વને આ હાઈકુ ( એને હાઈગા પણ કે’ છે ને ?)  આપીને મોટું કામ કર્યું છે. 

તને ખબર તો હશે જ ભાઈ કાસુબાવા, કે આ હાઈકુને લોકો 700 વરસનું જુનું ગણે છે પણ બહુ ઓછાને ખબર હશે કે એનાં મુળીયાં તો છેક 17મી સદીમાં નીકળે છે ! 1644-94 વચ્ચે થઈ ગયેલા હાઈકુના મહાન સર્જક બાશોની કૃતીઓ જોઈએ તો એનું યથાર્થ સ્વરુપ છેક ત્યાં જાતું નીકળે છે !

પણ ભાઈ બાવા, તેં મને એક વાત કીધેલી તે યાદ આવી ગઈ એટલે વચ્ચે જ કહી દઉં કે ગઈ સદીના 1957 આસપાસ જાપાનમાં “ધંધાકીય સફળ” ગણાય એવાં 50 સામયીકો ફક્ત (રીપીટ, ફક્ત) હાઈકુના પ્રકાશન માટે જ છપાતાં હતાં !! કમાલ છે ને ! પણ એનાથીય કમાલ તો એ મને લાગ્યું કે એમાંના કેટલાંક સામયીકો તો દર મહીને 1500 હાઈકુ પ્રગટ કરતાં હતાં ! ( આ 50 સીવાયનાં બીજાં મેગેઝીનો તો જુદાં હો ! ) અંદાજે દસ લાખ હાઈકુ વરસે દહાડે છપાતાં હતાં ! ( આ તો મનેય ગપ્પું લાગે છે પણ મેં તો વાંચેલું કહ્યું છે, તારા નામે !) અને હા, ‘તાંકા’ નામનો હાઈકુનો પ્રકાર પણ બહુ પ્રચલીત હતો પણ કાવ્યનાઆ બટુકસ્વરુપ જેવું અને જેટલું તો નહીં જ. 

હવે જો, કેવી મઝા થઈ છે; ઓચીંતાં જ આ તાંકાજીની ય વાત વચ્ચે આવી જ ગઈ છે તો ચાલને એનીય ભેગાભેગી કરી લઈએ વાત. આ તાન્કાની ય વાત જાણવા જેવી છે. ઈ તાન્કા વળી આ હાઈકુની મા થાય ઈ તને ખબર છે ?!  જો વાત એમ છે કે આરંભમાં 5-7-5-7-7 એમ કુલ પાંચ લાઈનોમાં અક્ષરોની ગોઠવણી થતી અને એને તાન્કા કહેતાં. આપણે ત્યાં ઘણા સમય પહેલાં વીદ્વાનોની વીદ્વત્તા માપવા અને એકજાતની સર્જનાત્મક પ્રવૃત્તીરુપે કાવ્યમાં પાદપુર્તી કરવાનું જાહેર આમંત્રણ અપાતું. એ માટે એકાદ લાઈન જાહેર થાય અને બાકી આગળની લાઈનો પુરી કરવા  જાહેર આમંત્રણ / ચેલેન્જ આપવામાં આવે. અથવા ત્રણ પંક્તી જાહેર કરીને છેલ્લી એક પંક્તી ઉમેરીને શ્લોક પુરો કરવા આહ્વાન આપાતાં.  મુશાયરાઓમાં તો આજે પણ એક પંક્તી જાહેર કરીને સૌ કવીઓને નીમંત્રણ અપાય છે જેને કાવ્યસંમેલનમાં રજુ કરાય છે.
[આપણામાંનો એક જાણીતો બ્લોગ 'સર્જન સહીયારું' તો આ કાર્ય નીયમીત રુપે કરે જ છેને.] 

હવે પાછો હું મુળ વાત ઉપર આવું. [જો ભાઈ કાસુબાવા, મને તો આમ વીષયાન્તર કરવાની ટેવ (કટેવ કે ?) છે જ. માસ્તર ખરોને ! એનાથી એકમાંથી બીજી વાતોય જાણવા મળી જાય એ લાભ-લોભ ખરો એટલે.]

તાન્કાની આ પાંચ લાઈનોમાં 5-7-5-7-7 અક્ષરો રહેતા. પણ ઘણીવાર આરંભની આ ત્રણ લાઈનો 5-7-5ને પ્રગટ કરીને બાકીની બે માટે પુર્તી કરવા ચેલેન્જ અપાતી હતી. એટલે પેલી ત્રણ મુળ પંક્તીઓનો પતંગ ઉડે અને બીજી બે પંક્તીઓનાં પુંછડાં ઉમેરાતાં જાય !! 

હાઈકુ શબ્દનું મુળ “હોક્કુ”માં છે. હોક્કુનો અર્થ થાય છે, “પ્રારંભીક કડી”. હોક્કુને માટે ‘હાઈકાઈ’ શબ્દ પણ યોજાતો. કોઈ અંગ્રેજી સાહીત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે, “Stop-short”  ! અર્થાત અહીં જ અટકો. અહીં આ ત્રણ પંક્તીમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પુર્ણતાને પામી જ ગયું છે ! જો કે ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચીત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પુરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે. 

જાહેર થયેલી ત્રણ પંક્તીઓ મહત્ત્વની બની રહેતી. વળી બનતું એવું કે સીદ્ધહસ્ત સર્જકો દ્વારા મુકાતી આ ત્રણ પંક્તીઓ એવી સચોટ રહેતી કે પાછલી પંક્તીઓ ફક્ત પુંછડી જ બની રહેતી. બીજી રીતે કહીએ તો ત્રણની પાંચ પંક્તીઓ કરવાનું કામ છાશમાં પાણી રેડવા જેવું બની રહેતું !! એટલે જ તો તાન્કાનું ચલણ સાવ નગણ્ય બની રહ્યું ને ! એ પુંછડી પછી (માણસની માફક) લગભગ નામશેષ થઈ, ને રહી ગયું કેવળ હાઈકુ; સંપુર્ણ અને સ્વતંત્ર - સુક્ષ્મ છતાં સશક્ત-સક્ષમ ! 

અને મીત્ર મારા, આ ત્રણ પંક્તીઓ જ વામનનાં વીરાટ ત્રણ પગલાં જેવી સાબીત થઈ. વામન કદ છતાં વીશ્વભરમાં એ સૌનું માનીતું કાવ્યસ્વરુપ થઈ ગયું. [ એ ભલે માનીતું થયું પણ સર્જકની આકરી કસોટી કરાવનારું જ બની રહ્યું કારણ કે એની સુક્ષ્મ અને સંકુલ રચનારીતી છે જ એવી. દુનીયાભરમાં એની આ અનન્યતા અંગે બહુ લખાયું છે. હવે પછી આગળ ઉપર એનીય વાત તને કહીશ.] 

તો, મીત્ર ! આજે તો આટલેથી જ સંતોષ લેજે. ( તને થશે કે આ કાંઈ ઓછું છે ! પણ હજી સહન કરવાને વાર છે. કેટલુંક તો અજાયબ છે,  આમાં.)

આવજે ! લી. તારો મીત્ર.

‘સપ્તક’નો દુનીયાનો નંબર વન જલસો ! 45 રાગો !

ભાઈબંધ વીનોદ,

આમ તો તને ડૉ. વીનોદ લખવું રયું ! ગુજરાતીભાષા-સાહીત્યમાં ડૉક્ટરેટ થયા પછી આગળ ડૉ. લગાડાય તે સારું લાગે જ. પણ આપણી ભાઈબંધીમાં ઈવડું ઈ આડું આવે હૉ ! નકામું વચાળે આવીને નડે; છેવટ કનડે તો  ખરું.

ગયા વખતે તને આંયાં અમદાવાદમાં સંગીતનો જે જલસો થૈ ગ્યો એની વાત માંડી’તી. ઈમાં તેરે તેર દી’નો કારયકરમ  તને લખી મેકલ્યો હતો. તને ઈ ગમ્યો ‘તો એવો ઈસારો તારા ટેલીફોનમાં હાંભળીને હવે આજ આ બીજો ભાગ પણ તને મેકલી દઉં છું.

13 દીવસ લાગલગાટ સાસ્ત્રીય સંગીતના જલસા દુન્યામાં ક્યાંય થાતા નથી એવું તો ઈ જલસામાં આવેલા મોટા કલાકારોય કે’તા’તા હો, ભાઈ વીનુ ! હંધાયે એક વાત તો વારે વારે કીધી’તી કે આવો જલસો દુન્યાના કોઈ દેસમાં નથી થાતો. એટલું જ નહીં હંધાયે એય કીધું’તું કે અમદાવાદ જેવા હાંભળનારાંય બહુ ઓછી જગ્યાએ હોય છે !

મારી વાત તને ખોટી લાગતી હોય ને તો પુછી જોજે અમેરીકાથી આવેલા ડૉ.રાજેન્દ્રભાઈ ત્રીવેદીને ! ઈવડા ઈ ઠેઠ અમેરીકાથી આવીને આંયકણે આ જલસામાં ઠેઠોઠેઠ લગણ બેશીને જલસો માણતા’તા !  ઈ શીવાય, હમણા અમદાવાદ-મુંબઈમાં નાનકડા જલસાઓ ગોઠવીને આ નેટજગતનું ધ્યાન ખેંચનારા ‘ધબકાર’ના જુવાનીયાઓનેય પુછી જોજે, કે આ જુગલભાઈની વાતું હાવ ગપ્પાષ્ટક તો નથી ને ?! ઈવડાં ઈ માળા આગલી લાઈનું રોકીને જલસો માણતા’તા, બોલો ! ઈ ‘ધબકાર’ના જુવાનોનેય મઝો તો પડી ગયો હશે કારણ કે  ઈમાંના કેટલાક તો પાછા તબલચી છે ! જબરું વગાડે હો, ભાઈ વીનુ !

પણ હું તો આ આડી વાતે સડી ગ્યો. આજ તો મારે તને આ 13 દી’ના જલસામાં જે બધા રાગ ગવાયા કે વગાડાયા ઈ હંધાય તને વંચાવી દઉં એમ થાય છે. ઓહોહો, ભાઈ ! આ 13 દી’માં ગાયનવાળા ને વાજીંત્રું વગાડનારાં હંધાયે મળીને તને નવાઈ લાગશે પણ 44 રાગ-રાગીણીઉં વગાડી’તી !! એમાં 20 તો બબ્બે-ત્રણત્રણ વાર બજાવાયેલી, એટલે બધી થઈને 64 આઈટેમું હતી, બોલો.  આજ તો ફકત ઈની યાદી જ કરીને મોકલવા વચાર છે. બાકી તો ઈમાંનું ઘણુંય છે, તને લખવાનું. પણ આજ તો આ યાદી જ ફકત. લે જોઈલે ઈ હંધાય રાગ :
—————————————————————
‘સપ્તક’માંના કુલ રાગો :
 
1]  ગોરખ કલ્યાણ (ત્રણ વાર )
2]  પુરીયા કલ્યાણ
3]  શામ કલ્યાણ (બે વાર)
4]  પરજ
5]  ખમાજ અને મીશ્ર ખમાજ
6]  ઝીંઝોટી
7]  દુર્ગા (મારો પ્રીય રાગ, હો !)
8]  કૌશી કાનડા (માલકંસ-દરબારીનું મીશ્રણ) બે વાર
9]  માંજ ખમાજ
10] ભૈરવી (રાગોની રાણી કેવાય છે; ત્રણ વાર)
11] ભુપાલી
12] નારાયણી
13] રસીકપ્રીયા (કર્ણાટકી)
14] જોગ અને જોગકૌંસ (ત્રણ વાર)
15] શંકરા (વીરરસપ્રધાન રાગ)
16] સોહીણી અને વસંત સોહીણી
17] સરસ્વતી (કર્ણાટકી)
18] ખરાડી
19] બીહાગ,હેમબીહાગ, મારુબીહાગ( છ વાર )
20] નંદ
21] અભોગી અને અભોગી કાનડા
22] મીશ્ર પહાડી (બે વાર)
23] ગુર્જરી તોડી (સવારનો રાગ હોઈ રવીવારની સવારની સભામાં)
24] જોનપુરી ( ઉપર મુજબ )
25] બ્રીન્દાવની સારંગ (બપોરનો પણ રવીવારે સવારે મોડેથી ગવાયેલો)
26] આદી વસંત
27] દરબારી (બે વાર)
28] અડાણા
29] તીલકશામ (પંડીત રવીશંકરે સર્જેલો; તીલકકામોદ-શામકલ્યાણનું મીશ્રણ)
30] રાજેશ્વરી (ભીન્નકૌંસ)
31] ચન્દ્રનંદન (પાચેક જાણીતા રાગોનું મીશ્રણ)
32] કાફી (ટપ્પા)
33] પુરીયા ધનાશ્રી
34] બાગેશ્રી ( મારો વહાલુડો ને ત્રણ વાર !)
35] પીલુ
36] યમનકલ્યાણ
37] જનસંમોહીની
38] ભીન્નષડજ
39] માલકૌંસ (રાગોનો રાજા)
40] મારવા
41] નટભૈરવ
42] મીશ્ર માંડ
43] બસંત-બહાર
44] પુર્વી
45] પ્રાદેશીક લોકસંગીત આધારીત ગીતો-ભજનો (પાંચેક) 

—————————————————————
બસ તો ભાઈ વીનુ, આજ તો આટલું જ. પણ યાદ રાખજે, ટેમ મળશે તો આ જલસાની એવી કેટલીક વાતું છે જેને સાંભળીને મઝો જ પડી જાય ! પણ ઈ હંધુ આજ નૈં !
હંભારીને ક્યારેક જવાબ દેજે. પોસ્ટકાર્ડ પચ્ચી ફદીયાનું જ આવે છે હો !! તારો ભાઈભંધ, જુ.

સંગીતજગતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સમારોહ !!

‘સપ્તક’ : આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહ : 1

પ્રીય વીનુ,

આજે તને ઘેર બેઠાં મળી રહે એવા સંગીત સમારોહની વાત કરવા આ લખી રહ્યો છું. તને નીમંત્રણ તો વારંવાર આપીને મારું મોં દુખી ગયેલું પણ તા.1 થી 13 જાન્યુઆરી દરમીયાન રજા લઈને અમદાવાદ મારે ઘેર ધામા નાખવાનું તને ન સુઝ્યું તે ન જ સુઝ્યું ! એટલે છેવટે પછી આમ રીપોર્ટ લખીને મારા જીવને સંતોષ અને તારા જીવને ‘હાશ, અમદાવાદનો ધુમાડો ખાવામાંથી બચ્યાં’નું સુખ આપવા વીચારીને ‘સપ્તક’ના વીશ્વપ્રસીદ્ધ સંગીત સમારોહની વાતો એક પછી એક લખી મોકલીશ. છેવટે તું જીત્યો એનુંય ગૌરવ કરીશ, એમ માનીને કે તેં એટલા દીવસના રોટલા મારા બચાવ્યા !!

આજે પ્રથમ હપ્તામાં ફક્ત આ 13 દીવસોના કાર્યક્રમની યાદી જ આપીશ પરંતુ આગળ જતાં હું તને એ સમારંભની કેટલીક અદ્ભુત વાતો પણ પીરસીશ જે વાંચીને તું મંત્રમુગ્ધ ન થાય તો જ નવાઈ ! તો સાંભળ આ 13 દીવસીય, વીશ્વના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત સમારોહના કાર્યક્રમની વીગતો : [આ યાદીમાં જેમના નામની ઉપર * આવી ફુદડી હોય તેઓ કાં તો ‘સપ્તક’ના વીદ્યાર્થીઓ હશે કે કાર્યકરો-અધ્યાપકો હશે]

આ સમારોહ શાસ્ત્રીય સંગીતની દુનીયાનો સૌથી લાંબાગાળાનો અને મોટો સમારોહ ગણાય છે તેવો અભીપ્રાય મારા ખીસ્સાનો નથી હોં, વીનું !! સમારંભ દરમીયાન ઓછામાં ઓછાં પાંચેક આંતરરાષ્ટ્રીયમહાન કલાકારોએ આ વાત જાહેરમાં કહી છે !! હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે છેલ્લાં સાતેક વરસથી આ અલભ્ય લાભ લઈ શકું છું. પરંતુ આપણામાં ગમતાંનો ગુલાલ કરવાની જે વૃત્તી રહેલી છે તેના કારણે જ આ લાભ કમસે કમ રીપોર્ટ દ્વારા તો સૌમાં વહેંચી શકું એ ભાવ આ પત્ર પાછળ રહેલો છે.
===============================================================


તારીખ : 1-1-’08
  (દરરોજ  8.30 પી.એમ.થી 2.00 એ.એમ.)

1]   શહેનાઈવાદન : ઉસ્તાદ અલી એહમદ હુસેન ખાન [મદદરુપ],એહમદઅબ્બાસ અને હસન હૈદર [તબલાં]  સન્દીપબેનરજી[સુર મંડલ] એહમદ અલી  [સુર પેટી] પલ્લબચેટરજ[દુક્કડ] બીરીશ્વર ભોમીક.
2] ગાયન  : વીકાસ પરીખ* [તબલાં] માતંગ પરીખ*  [હાર્મોનીયમ] કીશોર કુંતે [સારંગી] અલ્લા રખા કલાવંત*.                
3] તબલા :  [જુદાજુદા ઘરાણાના] પંડીત વીજયશંકર મીશ્રા[કંડક્ટર] ; સર્વ શ્રી પ્રવીણ કરકરે  [અજ્રાણા]; અમીત કુમાર [પંજાબ]; સચીન શર્મા[લખનૌ]; ઝાકીર અખ્તર [ફરુખાબાદ]; હેતલ મહેતા* [બનારસ]; ઉમેશ મોઘે [દીલ્હી]; હાર્મોનીયમ : શીશીરચન્દ્ર ભટ્ટ* ; સારંગી : સરવર હુસૈન.
4] ગાયન  : શુભા મુદ્ગલ તબલા : અનિશ પ્રધાન; હાર્મોનીયમ : વલવાલ્કર
—————————————————————
તા. 2–1-’08


1] સિતાર  :  ઉસ્તાદ સુજનખાન તબલાં : સંદીપ દાસ.
2] ગાયન  : રુપાંદે  શાહ* ; તબલા : વિનોદ વૈષ્નવ* ; હાર્મોનીયમ: રાજુ ગંધર્વ*.
3] બાંસુરી વાદન  :  પંડીત હરિપ્રસાદ ચોરસિયા  ; તબલા : વિજય ઘાટે.
—————————————————————
તા. 3-1-’08

1] ગાયન : શ્રીમતીઅલકનંદા પલ્નીતકર ; તબલા :રામસ્વરુપરાતોનીયા;હાર્મોનીયમ: યામીનખાન* ; સારંગી : ફારુખ લતીફખાન.
2] સંતુર  : રાહુલ શર્મા ; તબલાં : આદીત્ય કલ્યાણનપુર.
3] ગાયન  : પંડીત જસરાજ ; સહાયક: રતન મોહનશર્મા ; તબલાં : નંદન  મહેતા*[સપ્તકના સ્થાપક-સંચાલક] તબલાં-સહાયકકુ. હેતલ મહેતા* ; પખવાજ : હેમંત ભટ્ટ* ; હર્મોનીયમ : મુકુન્દ પેટકર.
—————————————————————
તા.4-1-’08

1] સારંગી : ઉસ્તાદ સુલ્તાન ખાન ; સારંગી-સહાયક : દીલશાદ ખાનઅને સબીરખાન ; તબલાં : નંદન મહેતા *; તબલાં સહાયક : પ્રવીણ શીંદે *.
2] ગાયન : પંડીત ઉલ્હાસ કાશલકર  ; તબલાં : ગોપાલ મીશ્રા ; હાર્મોનીયમ : પુરુષોત્તમ વલ્વલકર.
3] સીતાર : ઉસ્તાદ નીશાત ખાન ; તબલાં : ઉસ્તાદ રશીદ મુસ્તફા થીરકવા
—————————————————————
તા. 5-1-’08

1] ગાયન : કુ. કલાપીની  કોમકલી  ; તબલાં : સંજય દેશપાંડે ; હાર્મોનીયમ : અમીત ઠક્કર *
2] સીતાર-જુગલબંધી : શ્રીમતી મંજુ મહેતા * (સપ્તકનાં સ્થાપક-સંચાલક) ;  અને ક્રીષ્નમોહન ભટ્ટ ; તબલાં : અક્રમખાન
3] ગાયન : પંડીત અજય ચક્રવર્તી ; તબલાં : ગોપાલ મીશ્રા ; હાર્મોનીયમ : બ્રીજેશ્વર મુખર્જી
—————————————————————
તા. 6-1-’08  રવીવાર ( સવારની સભા 9.30 થી )

1] સીતાર : નરેન્દ્ર મીશ્રા ; તબલાં : સંદીપ દાસ
2] પંડીત રાજન મીશ્રા/ સાજન મીશ્રા ; તબલાં : અરવીંદ આઝાદ ; હાર્મોનીયમ : ઉસ્તાદ મહમુદ ધૌલપુરી
—————————————————————
(સાંજની સભા : 8.30 પી.એમ. થી )


1] ગાયન  : શ્રીમતી સુમીત્રા ગુહા
; તબલાં : નીહાર મહેતા* ; હાર્મોનીયમ: યામીન ખાન* ; સારંગી : કમાલ સાબ્રી
2] સીતાર : ગૌરવ મજમુંદાર ; તબલાં : પંડીત પુરન મહારાજ*
3] ધ્રુપદ-ગાયન : ઉસ્તાદ વસીફુદ્દીન ડાગર ; પખવાજ : મોહન શ્યામ શર્મા
—————————————————————
તા. 7-1-’08

1] ગાયન  : શ્રીમતી મોનીકા શાહ ;  તબલાં : વીનોદ વૈષ્ણવ* ; હાર્મોનીયમ : રાજુ ગાંધર્વ*
2] સમુહ-સીતાર વાદન  (17 સીતાર, એક સરોદ)  : સપ્તકનાં કલાકારો–વીદ્યાર્થીઓ* : તબલાં : સપન અંજારીયા *
3] ગાયન  : ઉસ્તાદ શૌકત હુસૈન ખાન *; તબલાં : પંડીત પુરન મહારાજ* ; હાર્મોનીયમ : ઉસ્તાદ મહમુદ ધૌલપુરી ; રમેશ મીશ્રા : સારંગી      
4] સંતુર : પંડીત શીવકુમાર શર્મા  ; તબલાં : ઝાકીર હુસેન
—————————————————————
તા. 8-1-’08

1] સરોદ : સુનીલ મુખરજી ; તબલાં : અકરમ ખાન
2] ગાયન  : શ્રીમતી મીતા પંડીત  ; તબલાં : વીનોદ લેલે ; હાર્મોનીયમ : અમીત ઠક્કર * ; સારંગી : રમેશ મીશ્રા
3] તબલાં-સોલો : ઉસ્તાદ સાબીર ખાન ; સહાયક : અરીફ ખાન ; સારંગી : મુરાદ અલી
4] ગાયન : ઉસ્તાદરશીદખાન;તબલા: સત્યજીત તલ્વલકર; હાર્મોનીયમ :ઉસ્તાદમહમુદધૌલપુરી ;સારંગી:ઈકરામખાન
—————————————————————

તા. 9-1-’08

1] ગાયન  : કુ. નીના વીર્દી (લંડન) ; તબલાં : શબ્બીર હુસૈન* ; હાર્મોનીયમ: અજય જોગલેકર; સારંગી:અલ્લારખાકલાવંત*
2] તબલાં-સોલો : ધ્રુવ કોઠારી* ; હાર્મોનીયમ : જાજ્વલ્ય શુક્લ*
3] ગાયન : હરીચરન વર્મા ; તબલાં :સુધીર પાંડે ; હાર્મોનીયમ : મયંક વર્મા ; સારંગી : મોઈનુદ્દીનખાન
4] સીતાર : ઉસ્તાદ શહીદ પર્વેઝ ; સહાયક: શકીરખાન ; તબલાં : પંડીત કીશન મહારાજ; સહાયક: શુભ શંકર
—————————————————————
તા.10-1-’08

1] ગાયન : મહેન્દ્ર તોકે ; તબલાં : નકુલ મીશ્રા ; હાર્મોનીયમ : શીષીરચન્દ્ર ભટ્ટ *
2] સીતાર : પુરબીયાન ચેટરજી ; તબલાં : ફઝલ કુરેશી
3] ધ્રુપદ-ગાયન : ઉમાકાંત ગુંડેચા અને રમાકાંત ગુંડેચા ;  પખવાજ : અખીલેશ ગુંડેચા
——————————————————

તા. 11-1-’08

1] સંતુર : અભય રુસ્તમ સોપોરી ; તબલાં : મીથીલેશ ઝા
2] ગાયન : રીતેશ / રજનીશ મીશ્રા ; તબલાં : વીનીત વ્યાસ ; હાર્મોનીયમ : રાજુ ગાન્ધર્વ*
3] મોહન વીણા : પંડીત વીશ્વમોહન ભટ્ટ ; સહાયક : સલીલ ભટ્ટ ; તબલાં : રામકુમાર મીશ્રા
—————————————————————
તા. 12-1-’08

1] સરોદ : સૌગતો રોય ચૌધરી  ; તબલાં : દેબજ્યોતી સન્યાલ
2] ગાયન : કુ. શાંતી શર્મા ; તબલાં દેવેન્દ્ર દવે ; હાર્મોનીયમ : સુધીર યાર્ડી
3] વાયોલીન : પંડીત ડી. કે. દાતાર ; સહાયક : રત્નાકર ગોખલે ; તબલાં : અરવીંદ આઝાદ
—————————————————————
તા. 13-1-’08  (પુર્ણાહુતી દીવસ )

1] કથ્થક નૃત્ય : શ્રીમતી માધવી ઝાલા ; તબલાં : પૃથ્વીરાજમીશ્રા* ;પખવાજ: પ્રવીણ શીંદે *; હાર્મોનીયમ-કંઠ : ચીરંજીલાલ તનવર ; સારંગી : ભારતભુશણ ગોસ્વામી ; સીતાર : મનુ સીન
2] ગાયન : પાર્થસારથી દેસીકન ; તબલાં : સુભાશીશ ભટ્ટાચાર્ય ; હાર્મોનીયમ : અજય જોગલેકર
3] સીતાર : મેહબુબ નદીમ ; તબલાં : પૃથ્વીરાજ મીશ્રા *
4] ગાયન : કુ. કૌશીકી ચક્રવર્તી ; તબલાં : સુભાશીશ ભટ્ટાચાર્ય ; હાર્મોનીયમ : અજય જોગલેકર
===============================================================
ભાઈ વીનુ !

તને વાંચીને કાંઈ ખ્યાલ આવ્યો ? આ સમારંભમાં વીશ્વકક્ષાના સંગીતકારોનાં નામો તો છે જ પણ કેટલાંકે તો દર્શાવી દીધું હતું કે તેઓ હવે વીશ્વકક્ષાએ બેસી શકે એવી તૈયારી કરી ચુક્યાં છે !!
આજે તો આટલું ઘણું થઈ ગયું ! સપ્તક સમારોહની વધુ વીગતો આંકડામાં હવે પછી આપીશ. સપરીવાર કુશળ હશો. સમય મળે તો અભીપ્રાય લખજે જરુર. 

–તારો, આજે આ લખીને ખુબ ખુશ મીત્ર, –જુ.

જઠરાગ્નીના મહાયજ્ઞમાં સમીધ ઉમેરી શકીશું, ક્ષમા ?!

કરમની કઠણાઈના કાગડા કાળી કીકીયારીયું કરે છે.       

–જુગલકીશોર. 

*******************************************

સ્નેહલ ક્ષમા,

તારો પ્રકૃતીપ્રેમ મને પહોંચ્યો છે. આ પત્ર એની પાવતી રુપે સ્વીકારજે. આ પ્રકૃતીવંદના મેં જ શરુ કરી હતી, ગયા પત્રથી. એના જ અનુસંધાને આ તારો પત્ર હોઈ એનીય વંદના કરી લઉં તો એને નકારીશ નહીં.

પણ પ્રકૃતીને હમણાંથી નવા જ સ્વરુપે જોવાનું બને છે. આ સખત રીતે જામી ગયેલો શીયાળો એક નવી જ વેદનાને જન્માવી રહ્યો છે. એની અનુભવગાથા પણ આપણા આ પત્રવ્યવહારમાં ડોકીયું ન કરે તો જ નવાઈ…

મારે ઘેરથી થોડેક જ દુરથી રોડની આખી એક વસાહત શરુ થઈ જાય છે. હમણાંથી પાછું રોડના સમારકામની ઋતુ શરુ થઈ ગઈ છે. એમાં કામ કરતાં મજુર કુટુંબોમાં તાજાં જ જન્મેલા બાળકથી માંડીને વૃદ્ધત્ત્વને આરે બેસીને મૃત્યુની આતુરતાથી રાહ જોઈ રહેલાંઓનો સમાવેશ થાય છે. આમાંનાં કહેવાતાં સશક્ત એવાં સૌ દીવસભર કાળી મજુરી કરીને સાંજે ઘેર આવે છે ત્યારે એક નીરાંતની હુંફ સૌમાં ફરી વળે છે. મજુરીએ ન જઈ શકેલાંઓમાંનાં કોઈએ જે કંઈ રાંધવાની શરુઆત કે તૈયારી કરી  હોય તેના સહારે પછી આગળની સાંજના ડીનરની ભવ્યાતીભવ્ય તૈયારીઓ ચાલુ થઈ જાય છે…

આવા શબ્દ પ્રયોગેને મઝાક ન ગણીશ, ક્ષમા ! ડીનરની આ તૈયારીઓ અનેક રીતે ભવ્યાતીભવ્ય હોય છે ! જે કાંઈ રકમ ખીસ્સામાં કે વીંટો વાળેલાં ગોદડાંમાં પડી હોય કે હોવાની શક્યતાઓ તપાસવાની હોય તે કરીને પછી જે કાંઈ હાથ લાગે તેને વેપારીને ત્યાં કણસતા જીવે મુકી દઈને ‘આજનું મૅનુ’ તૈયાર કરવાનું હોય છે. અથવા તો ઉધાર લાવીને બેવડો માર એ ‘મૅનુ’માં ઉમેરવાનો હોય છે.

ગઈ કાલે બાજુવાળા કોઈ સનીયાની પાસેથી ઉછીનાં લીધેલાં કરગઠીયાં પાછાં આપવાનું બની શકે એમ નથી એટલે સનીયાની વહુનાં મેણાંય આ ‘મૅનુ’માં ભેળવવાનાં હોય છે ! એ પછીય જે કાંઈ શાક કે ચટણીનો મેળ પડે તે પાડવાનો હોય છે.

ગયા મહીને ઘરમાં બેસી રહેતી ઘરડી માએ આજુબાજુની સોસાયટીઓમાંથી ‘વાળુ’માગી લાવવાનો નુસખો એણે પોતે જ સુઝાડ્યો હતો ને બધી શરમ છોડીને ‘બે..ન, વાળુ આલી જાજો, બાપા !’ એવો ક્યારેય ન કર્યો હોય એવો લહેકો શીખીનેય થોડું માગી આવી હતી મા. તે દી’ એમનું ડીનર કંઈક જુદી ભાતનું જ બની રહ્યું હતું ! એક બાજુ જુદી જ જાતની ભાવી જાય એવી વાનગી મળી હતી ને સાથે સાથે કોઈનું એંઠું-વાસી ખાવાની વેદનાય એ ડીનરને જુદી ભાતની બનાવી ગઈ હતી !

પણ અક્કરમીનો પડીયો કાયમ કાણો જ હોય એમ દરરોજ સોસાયટીઓમાં જઈને વાળુ માંગવાનો હક ધરાવતા સફાઈવાળાં કુટુંબીજનોને ખબર પડી જતાં રાડો પાડીને સોસાયટી ગજવી મુકેલી કે “આયાં તમારે માગવા નૈ આબ્બાનું, હમજ્યાં !” [એક બેન બચાડાં વાળુહક્ક ધરાવનારને આપીને વધારાનું માને આપવા ગઈ તો એનોય ઉધડો લઈ નાખેલો.] આવા સંજોગમાં માગી ખાવાનો ચાનસ પણ ઝુંટવાઈ જતાં એ જુદી ભાત્યના ડીનરનુંય છેવટ પડી ભાંગ્યું હતું.

પણ આપણે તો વાત કરતાં હતાં, ક્ષમા,ભવ્યાતીભવ્ય ભોજન-કાર્યક્રમની. દરરોજનું દરરોજ લાવીને ખાનારાં આ કુટુંબોને કાંઈ ફટાફટ વાનગીઓ બનાવી નાખવાની નથી હોતી ! એમને તો પૈસા શોધવાથી માંડીને મેણાં-ટોણાં સાંભળવાનાં; આખો દીવસ માવતરથી દુર રહીને થાકેલાં ને ભુખલ્યાં થઈ ગયેલાં છોકરાંવને ઠપકારીને   છાનાં રાખવાનાં; બળતણના અભાવે કાચું રહી જવાની શક્યાતાવાળું જમવાની માનસીક તૈયારી રાખવાની; એમાંય ઉતાવળમાં માંડ લાવી રાખેલી તેલની શીશી ઉંધી પડી ન જાય તેનુંય ધ્યાન રાખવાનું ને છેવટ જતાંય જો કોઈ આવી ચડ્યું હોય તો એનેય આગ્રહ કરીને પોતાનું પેટ અધુરું રાખવાની તૈયારી…આ બધુંય જોવા કારવવાનું હોય છે.

આ ભવ્ય તૈયારીને કેવળ રસોઈની તૈયારી કહીને મઝાક કરવાની શક્તી કે હીંમત મારામાં નથી. પણ ક્ષમા, ભલે દરરોજ કંઈ આવું બનતું ન હોય તોય મને તો  એ લોકોને સાંજે રસોઈ કરતાં જોઉં એટલે આ બધુંય જાણે દરરોજની ભવ્ય તૈયારી જ લાગે. પાપી પેટને ભરવા માટે કેવી અને કેટલી તૈયારી કરવાની હોય એ તો આ ભવ્ય મહેનતુ લોકોને જ ખબર હોય. ક્ષમાજી ! આપણે ક્યારે આવું અનુભવવાનાં ?!

આ શીયાળો આવે એટલે મને એમનાં બાળકોની કાલ્પનીક ચીસો રાત આખી સંભળાયાં કરે. ઉનાળો આવશે એટલે મચ્છરોના ઍક્યુપંક્ચરોથી સારવારાતાં બાળકો સાંભરશે. પણ સૌથી ભુંડું તો ચોમાસું, હો ક્ષમા. એક જગ્યાએથી બીજી જગ્યાએ હડીયાપાટી કરીને ઘરવખરીને અને પ્રાણપ્યારાંઓને સાચવવાના એમના ધખારા તો આપણાથી કલ્પી જ ન શકાય. કઈ સરકાર આ ધખારો સમજવાની છે ?!

આજે કોણ જાણે કેમ પણ મને પ્રકૃતીની આ લીલા પણ સાંભરી ગઈ. કર્મના સીદ્ધાંતમાં મગ્ન રહેનારાંઓ ઘણીવાર શાહમૃગી વૃત્તીનાં પ્રતીકો છે. કોઈનેય આ દયનીય સ્થીતી ગમે નહીં. પણ એ બધાં કરી પણ શું શકે ? આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં, કઈ રીતે દઈ શકાશે; કોણ દઈ શકવાનું છે ?! એટલે પછી કર્મના સીદ્ધાંતને આગળ કરીને મન મનાવી લેવાનું, બીજું શું !!

ક્ષમા, તારો ગામડે જઈને બેસી જવાનો વીચાર જો પ્રકૃતીપ્રેમ અને શાંત જીવન પસાર કરવા માટેનો હોય તો તે આત્મવંચના જ ગણવી. જોકે તું એમાંની નથી પણ ગામડે શું કે શહેરમાં શું, કરમની કઠણાઈના કાગડા તો બધે જ કાળી કીકીયારી કરે છે.

આપણે તો આ દેશની જઠરાગ્નીના મહાયજ્ઞમાં કંઈ પણ સમીધ નાખવાનું ભાગ્ય મળે એવી કામગીરી શોધવી રહી. તારી સાથે શક્ય બનશે તો આવા જ કોઈ ભવ્યાતીભવ્ય ભોજનયજ્ઞમાં ભાગ લેવાનું સ્વપ્ન સેવું તો એને સમજવા મથજે.

આજે તો આટલું જ. [ આ ય કાંઈ ઓછું છે ?! ]
–નીખીલ.

                              —===000===—

જનેતાનેય ભુલી જતો માનવી પ્રકૃતીને ભુલી જાય તો શી નવાઈ ?!

–જુગલકીશોર.

પ્રીય નીખીલ,