આપો
તેડવા દોડું ને ચૂલે ઊભરાતાં દૂધ
ભલે, પાંગરાંનો કિચૂડાટ આપો !
કંઠે હાલરડાંનાં રૂંધ્યા કપોત,
એને ઊડવા ગગન થોડું આપો !
લઈ લ્યો સુગંધ જેવું ફરવાનું આમતેમ,
દઈ દ્યો સુવડાવે એવી શૂળ !
પોલાં પગલાંને હવે અડક્યા વિનાની
રોજ વલખે છે આંગણાંની ધૂળ !
એમાં કમળ ઉગાડી એક આપો !
કોરાકડાક મારા પાલવની ભાત્યમાં
પડવા દ્યો પચરંગી ડાઘ !
એનાથી ફળફૂલે ઝૂમશે આ બાંધણીના
વણમ્હોર્યા બાવન સૌ બાગ !
ખાલીપો કાંખનો ઉથાપો.
–ભાનુપ્રસાદ પંડ્યા
=======================
કાવ્યનું રસદર્શન
–સ્વ. જયંત કોઠારી
જોઈ શકાય છે કે અહીં દોહ્યલાં વાંઝીયા-મેણાંનું દુ:ખ નથી, ‘ખાલીપો કાંખનો ઉથાપો’ એવી કેવળ માતૃત્ત્વ-ઝંખના છે. આંગણું તો છે, પણ આંગણાંનું લીંપણ નથી, કેવળ ધુળ છે, જેમાં પોલાં પગલાં પડવાની અપેક્ષા વ્યક્ત થઈ છે. સાડલો મેલો થવાની વાત અહીં પણ છે, પણ અહીં એ સીધી કહેવાયેલી છે, લોકગીતમાં ‘ખોળાનો ખુંદનાર’માં એનું સુચન હતું. ‘ખોળાનો ખુંદનાર અને પગલીનો પાડનાર અહીં નથી ને એને સ્થાને ‘ડાઘ’ અને ‘પગલાં’ જ છે તેથી બાળક પરોક્ષ થઈ ગયેલ છે ને પુત્ર, પુત્રી બન્નેને સમાસ મળે એવી સ્થીતી સર્જાઈ છે.લોકગીતમાં ધોયોધફોયો સાડલો હતો, અહીં ‘કોરોકડાક’છે એ ફરક પણ સુચક છે. ધોયોધફોયો સાડલો સ્ત્રીની ક્રીયાશીલતાનો નીર્દેશ કરતો હતો તે હવે રહેતું નથી. આંગણું લીંપવાની ક્રીયા ગઈ તેમ કપડાં ધોવાની પણ ગઈ. લોકગીતમાં સ્ત્રીના રોજીંદા જીવનની ઘટમાળ સાથે માતૃત્ત્વઝંખના વણાઈને આવતી હતી તે હવે અહીં રહેતું નથી.
ઉપરાંત, લોકગીત બાલચેષ્ટાઓની અપેક્ષાના એકમાત્ર દોરથી રચાયેલું છે. અહીં એવું નથી. હાલરડાં ગાવાની ને સુઈ જવું પડે એવી અપેક્ષા વ્યક્ત થઈ છે. એ સ્ત્રીની ચેષ્ટાઓ છે ને પાંગરાંનો કીચુડાટ એ તો વળી જુદી જ ક્રીયા છે. લોકગીતમાં બાળકની છબી સતત આપણી સામે રહે છે તેને સ્થાને અહીં જુદીજુદી રીતે વ્યક્ત થતો માતૃત્ત્વનો મનોભાવ આપણી સામે રહે છે.
આધુનીક કવીએ પોતા તરફથી કેટલીક વીગતો પુરી છે એમાં હાલરડાં ગાવાની ઈચ્છા એક સુંદર ઉમેરો કરે છે, પણ બાળક આવતાં સ્ત્રીના મુક્ત વીહાર પર અંકુશ આવે પણ સુવડાવે એવી શુળ શું ? પ્રસુતીની ઘટનાનો આમાં નીર્દેશ છે ? તો એનું ઔચીત્ય શંકાસ્પદ છે. કાવ્યની બાકીની પંક્તીઓ બાળકના જન્મ પછીની સ્થીતીને વર્ણવે છે તેના કરતાં બાળકના જન્મ સમયની વેદનાની વાત કંઈક જુદો અનુભવપ્રદેશ ને અનુભવનું સ્વરુપ દર્શાવે . કાવ્યની એકલક્ષીતા એથી ખંડીત ન થાય ? ‘તેડવા દોડું ને ચુલે ઉભરાતાં દુધ’ તો બરાબર છે પણ એની સાથે પાંગરાંના કીચુડાટને શો સંબંધ ? હા, બાળકના રડવાને સંબંધ હોઈ શકે.
આધુનીક કવીની રચનામાં આ રીતે આયાસ વરતાય છે તે ઉપરાંત એમાં પ્રૌઢ વીદગ્ધ કવીત્ત્વની મુદ્રા પણ પડેલી છે. ‘કંઠે હાલરડાંનાં રુંધ્યાં કપોત’માં એક નુતન ચમત્કૃતીભરી રુપકરચના છે, તો પગલાંને કમળ ને પચરંગી ડાઘને ફળફુલે મ્હોરેલાં ભાગ રુપે કલ્પીને પગલાં અને ડાઘને માત્ર સ્વીકાર્ય નહીં પણ શોભાની વસ્તુઓ બનાવી દીધી છે અને એ રીતે લોકકવીતાના વર્ણનને નવી રસાત્મકતા અર્પી છે. લોકકવીતાએ અભીધાથી કામ લીધું છે, એમાં ભાવવ્યંજના છે પણ એ અભીધામુલક છે; આધુનીક કવીએ લક્ષણાથી કામ લીધું છે, એની ભાવવ્યંજના લક્ષણામુલક છે. લોકકવીતા મનોહર બની છે - એનાં અભીધાચીત્રોથી, એની સરલ તળપદી અભીવ્યક્તીથી, એની સંવાદી વાક્યભાતોથી, એનાં ટુંકાં ચરણોની લયબદ્ધ ગતીથી; આધુનીક કવીતા પ્રભાવક બની છે - એના અલંકારચીત્રોથી, એ અલંકારચીત્રોની વીગતબહુલતાથી, દીર્ઘસંકુલ વાક્ય-રચનાઓથી અને પ્રલંબ ગીતલયથી.
પણ નવા જીવનસંદર્ભની વીગતો લઈને માતૃત્વઝંખનાને વ્યક્ત કરતા કાવ્ય માટેની આપણી અપેક્ષા હજુ ઉભી જ રહે છે. (તા. 24-2-’95)
પ્રતીપત્રો