Archive for March, 2008

હાઈકુમાં કેટલા અક્ષરો ?

ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ.
–સંકલન : જુગલકીશોર.
——————————————————————————————————-
 (હાઈકુ : 4)
[ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ....: ]

હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને એક પંક્તીની ઉક્તી પણ કહે છે. સદીઓથી એનું પંક્તીમાપ નક્કી થયેલું જ છે. એના અક્ષરો તો સત્તર જ હોય છે તે જાણીતી વાત છે. એ અક્ષરો 5-7-5 પ્રમાણે ત્રણ પંક્તીમાં વહેંચાય છે એ પણ નીશ્ચીત જ છે.

આપણા મંદાક્રાંતા,પૃથ્વી, શીખરીણી જેવા સત્તરાક્ષરી છંદો પણ જાણે હાઈકુની જ અવીભાજીત પંક્તી હોય એવું લાગે છતાં એમાં ફેર એ છે કે હાઈકુમાં ગણોની વ્યવસ્થા કે માત્રામેળના નીયમો લાગુ પડતા નથી. યતી પણ નક્કી કરેલી જગ્યાએ આવતી નથી.

શ્રી સ્નેહરશ્મી પોતાની પ્રસ્તાવનામાં નોંધે છે કે  હાઈકુમાં 17 અક્ષરો અનીવાર્ય છે શું ? એવો પ્રશ્ન થતો જ રહ્યો છે એટલું જ નહીં આ સત્તરાક્ષરો સામે બળવો પણ થયો છે. છતાં આ બંધારણ બદલાયું નથી એ જ એની સધ્ધરતા બતાવે છે. એકાદ અક્ષર ઓછો-વધુ થાય તો ચલાવી લેવામાં આવ્યો છે એ પણ હકીકત રહી છે. અને 15 કે 18 અક્ષરોના હાઈકુ જોવા મળે જ છે. આપણી માતૃભાષામાં પણ આ જ નીયમ યથાવત્ રહ્યો જણાય છે.

આટલી મર્યાદીત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી  એ બહુ સંયમ અને વીવેક માગી લેનારી બાબત છે. આ મર્યાદા અંગે ગુજરાતીના બે વીદ્વાનો સાથે સ્નેહરશ્મીને જે લાંબી વીચારણા થઈ એના ફળસ્વરુપે એમણે બે હાઈકુનો દાખલો આપીને એક બહુ જ ઉપયોગી સામગ્રી પ્રસ્તાવનામાં પીરસી છે. આ આખી ચર્ચા આપણ સૌને ઉપયોગી થાય એમ માનીને અહીં મુકવા મન છે.
‘ઉંડી અને સુક્ષ્મ સમજવાળા’ બે કવીઓની સાથે સ્નેહરશ્મીએ જે પ્રયોગો કર્યા હતા તેની વાત પણ કરી લઈએ. આ બન્ને કવીઓ તે શ્રી હસમુખ પાઠક  અને શ્રી નિરંજન ભગત.  બન્નેના એક એક હાઈકુ કે જે સત્તરથી વધુ અક્ષરોનાં હતાં તેને  અંગે બહુ વીગતે અને અર્થસભર વાતો લખી છે. આપણે પણ તેમાં ડુબકી મારી જોઈએ !

શ્રી પાઠકનું હાઈકુ આ પ્રમાણે હતું :

તળિયે સ્વસ્થ ચંદ્રમા
ભાંગતો ચંચળ સપાટી પર
ઓચિન્તી કોઈ લ્હેરમાં.
શ્રી ભગતનું હાઈકુ આ પ્રમાણે હતું :

હું ને મારો પડછાયો–
પણ રાતે જ્યાં દીપક બુઝ્યો
હું ત્યાં એકલવાયો.

આ બન્ને હાઈકુ વીષે શ્રી સ્નેહરશ્મિ ઉંડી વીચારણાને અંતે જે ફેરફારો સુચવે છે તેમાં રહેલી હાઈકુના સ્વરુપ વીષેની વીભાવના આપણને  ખુબ જ ઉપયોગી થશે….તેઓ કહે છે :


” જેમ જેમ આ કાવ્ય ઘુંટાતું ગયું તેમ તેમ પ્રશ્નો ઉઠવા લાગ્યા કે એની ત્રીજી પંક્તિ ન હોય તો કાવ્યના સ્વરૂપમાં કંઈ ફેર પડે ખરો ? બીજી પંક્તિમાંનો ચંચળ શબ્દ ત્રીજી પંક્તિને  પોતાનામાં સમાવી નથી દેતો ? જો ત્રીજી પંક્તિ ન હોય તો વ્યંજનાને વધુ  અવકાશ મળે એવું લાગતું નથી ? જો એ સાચું હોય  તો ત્રીજી પંક્તિના આઠ અક્ષરો આપોઆપ ઓછા થઈ જાય, બાકી રહેલા 19માંથી ‘ચંદ્રમા’ની જગ્યાએ ‘ચંદ્ર’ અને ‘ભાંગતો’ની જગ્યાએ ‘ભાંગે’ પ્રયોગ થાય તો સત્તર અક્ષરોનું માપ જળવાઈ રહે અને અર્થને અનુલક્ષીને 5-7-5 મુજબ ત્રણ પંક્તિમાં વિભાજન પણ થઈ શકે.

“શ્રી પાઠક સાથે ચર્ચા થતાં તેમણે નીચે પ્રમાણે પાઠ યોજ્યો. હાઈકુના સ્વરૂપને સમજવામાં એમનો મૂળ પાઠ (ઉપર દર્શાવ્યો છે તે ) અને આ નવા પાઠનો તુલનાત્મક અભ્યાસ ઉપયોગી જણાશે. એ આ પ્રમાણે છે :
તળિયે ચંદ્ર
સ્વસ્થ ભાંગે સપાટી
ઓચિન્તી લ્હેર.
” શ્રી ભગતની (ઉપર જણાવી છે તે ) કૃતિ ઉપર હું રટણ કરતો ગયો તેમ તેમ એમાં રહેલું હાઈકુ બહુ સુરેખ રીતે મારા મનમાં આકાર લેતું થયું. અહીં પણ પેલો પ્રશ્ન મને ઉદ્ભવ્યો, એના 25ની જગ્યાએ 17 અક્ષરમાં એ ન સમાઈ શકે ? બીજી વાત જે મારા ધ્યાનમાં આવી તે  “હું ત્યાં એકલવાયો”ના વિધાનને લગતી હતી… હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ બોલતો નથી. હાઈકુનો કવિ “હું ત્યાં એકલવાયો” કહેવાને બદલે તે એકલવાયો છે એવું આપણને લાગે એવી પરિસ્થિતિ સર્જતો હોય છે. શ્રી પાઠક સાથે ચર્ચા નીકળતાં તેમને નીચે પ્રમાણેનો પાઠ યોજ્યો :
હું — પડછાયો
તિમિરે બુઝ્યો દીપ…
એકલવાયો.
આશા રાખું છું કે આ વીગતો તને કંઈ કોમેન્ટ કરવા પ્રેરશે. વધુ હવે પછી….!
============================================================

સ્નેહરશ્મીને ‘હાઈકુ-રશ્મી’ કહેતા કાકાસાહેબના બે પત્રો..!!

સ્નેહરશ્મિને કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ.
{સંસ્કૃતિ-ફેબૃઆરી,૧૯૬૭}
—————————————————————————————————————–
રાજઘાટ, નવી દીલ્હી. તા.૨૨-૨-૬૬.
પ્રીય ઝીણાભાઈ,
તમારા મધુર મીઠા કાગળ…પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં ‘તમારી દુનીયા’એ (સ્નેહરશ્મીનો  હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચીત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, “હાઈકુ-રશ્મિ” કહીશ.

કાશ્મીરના મમ્મટે ‘અનલંકૃતી પુનઃક્વાપી’ કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ માફી માગી જણાય છે. પણ એવું શા માટે ? અલંકાર એ કાંઈ કાવ્યનું સર્વસ્વ નથી-કેવળ ઘરેણાં છે. હું તો માનું છું કે ક્ષમા યાચીને નહીં પણ પુરા અધીકાર સાથે સાહીત્યક્ષેત્રમાં પોતાનું ઉંચું સ્થાન છે એમ જાહેર કરવા જ હાઈકુનો અવતાર છે. તમે હાઈકુનો કેવળ છંદપ્રકાર અપનાવ્યો નથી પણ હાઈકુ પાછળનો આત્મવીશ્વાસ પણ અપનાવ્યો છે….

કેટલાંક નાજુક ફુલોની સુગંધ પણ એટલી નાજુક હોય છે કે તે વરતાય, પણ ઓળખાતી નથી. પણ એ જ એનું માહાત્મ્ય અથવા કાવ્યત્મ્ય….હવે તમારે નાનાં હાઈકુઓનો ધોધ વરસાવવો જોઈએ……..
                           —————————————————-

તા.૯-૩-૬૬.

…બધા સાહીત્યકારો કહે છે કે ઉત્તમ કાવ્યમાં ધ્વની એટલે કે વ્યંજના હોવી જોઈએ. શબ્દો કે જે સીધો અર્થ આપે છે તે અભીધા…પણ કવીઓને, સીધી રીતે ન કહેતાં, આડકતરી રીતે કહેવામાં મઝા આવે છે. તે એટલે સુધી કે કાવ્ય માટે એ લોકોએ ‘વક્રોક્તિ’ નામ પસંદ કર્યું. ‘વક્રોક્તિ કાવ્ય-જીવિતમ્’  કહીને એમણે કહ્યું કે “કવીઓ વક્રોક્તી-માગ-નીપુણ” હોવા જોઈએ.

હવે, “સાદા શબ્દો વાપરીને ધ્વની અથવા વ્યંજના ઉત્પન્ન કરવી” એમાં વીવીધ અર્થો સુચવવાની જેટલી શક્તી કવીની હોય તેટલી જ શક્તી એ સુચનોને સમજવાની વાચકમાં પણ હોવી જોઈએ, નહીં તો ભેંસ આગળ ભાગવત થવાનું.

તેથી કવીતામાં બે જાતનો વીશ્વાસ હોવો જોઈએ :
૧) સુચન-અર્થ- પહોંચાડવાની શક્તી મારા શબ્દોમાં અને મારી રચનાઓમાં(કવીમાં) છે એવો આત્મવીશ્વાસ અને
૨) મારા શબ્દોમાં જે સુચન હશે તે ઝીલવાની શક્તી મારા વાચકોમાં હશે તેવો વીશ્વાસ…આ બન્ને પ્રકારના વીશ્વાસને હું આસ્તીકતા કહું છું……

કાવ્યશાસ્ત્રનું જ ઉદાહરણ લઈએ તો, એક જણે કહ્યું, ” ગતો અસ્તં અર્કઃ !” (સુર્ય આથમ્યો) આ વાક્ય હાઈકુનો નમુનો ગણું છું. આનો અર્થ બ્રાહ્મણોએ કર્યો, “સંધ્યાવંદનનો સમય થયો.” ચોરોએ કર્યો, ” હવે ખાતર પાડવાની તૈયારી કરવી જોઈએ.” બાળકોએ અર્થ કર્યો, “ઘેર જઈ મા પાસેથી પ્રમોદી મેળવી શકાય.”

તમારા હાઈકુઓમાં ઓછામાં ઓછા શબ્દો વાપરી..નોંધ જ કરવામાં આવે છે.પણ તે એવી ખુબીથી કે એમાંથી અનેક જાતની વ્યંજનાઓ કાઢી શકાય……

હાઈકુના છંદ વીષે મેં તમને કહ્યું જ છે કે જુના વખતમાં જાપાની છંદનું અનુકરણ કરી કોકે અંગ્રેજીમાં પાંચ લીટીઓના નમુના આપ્યા હતા એ મને ખુબ જ ગમ્યા હતા. તમે કહ્યું હતું કે તેને તાન્કા કહે છે. અને એમાંથી જ હાઈકુની ઉત્પત્તી થઈ છે…. અર્થાન્તરન્યાસમાંથી છેલ્લી લીટીની કહેવત બને છે તેમ જ તાન્કામાંથી હાઈકુ આવ્યાં.

હાઈકુમાં શબ્દો ઓછા, વર્ણન સાદું અને વ્યંજનાને અવકાશ અપરીમીત - અપાર ! એવાં હાઈકુ દ્વારા બોધ પણ અપાય અને ઝાટકણી પણ કઢાય. હાઈકુમાં નવેનવ રસ વ્યક્ત થઈ શકે પણ એ તો સમર્થ કવીનું કામ. નીરસતા ઢાંકવા માટે કોઈ હાઈકુ વાપરે તો જોતજોતામાં ઉઘાડો પડે….હાઈકુની કેટલીક લીટીઓ કહેવત જેવી પણ થઈ શકે, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે……
–કાકાના સપ્રેમ જય હાઈકુ.
                                         —-===000===—-


પત્રોમાં પુષ્પોની ફોરમ !

વાચક સંખ્યા :

  • 1,672 hits

પત્રમંજુષા

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31