પરીણામે એક પછી એક આ સૌ દુખીયારાંઓ જીવન ત્યજીને કોઈ અગોચર સુખના સ્વપ્ન સારુ થઈને ચીરનીદ્રાને વશ થઈ જવામાં છે !
આ દેશમાં આજે બધે જ એક ચર્ચા છે, મોંઘવારીની. પરંતુ “એ તો વૈશ્વીક સમસ્યા છે એટલે ભારત પણ એમાંથી બાકાત શી રીતે રહી શકે ?” એમ કહીને આ દેશના શાહમૃગો પોતાનું મોં સંતાડી દેશે. અને એમા જ રાજકીય - સામાજીક - શૈક્ષણીક - આર્થીક અને એવી એવી જે જે ઈક-ઈક-ઈક સંસ્થાઓ છે તે બધીયું કાગારોળ કરી મુકીનેય છેવટે તો પોતાનું ભાણું જ ભરતી રહેશે….
નીખીલ, આપણી ચામડી હવે સંવેદનશીલતા ખોઈ બેઠી છે. કોઈ ને કોઈ નશો પીવડાવતાં રહેતાં સામજીક અને રાજકીય બ્યુટી પાર્લરોમાં હવે ચામડીને ગોરી અને સુંવાળી બનાવાતી નથી ! ત્યાંય હવે ચામડીને સખ્ખત અને નઠોર બનાવી દેવાનો જ કાર્યક્રમ ચાલે છે. સૌને હવે ફાવી ગયું છે. છાપાં હવે સહેજ પણ ગરમી પડે એટલે મધ્યમ વર્ગને ઘરમાં બેઠાં બેઠાં વળતા પરસેવાની ફરીયાદ કરે છે, કારણ કે એના ઘરાકોય મધ્યમ વર્ગીય લોકો જ વધુ હોય છે.
ગરીબી નહીં પણ ગરીબો એ આ દેશનો માથાનો દુખાવો છે એમ ગણીને જેમ બને તેમ એને જલદી ખતમ કરી નાંખવાની પેરવી એ આજની છેલ્લામાં છેલ્લી કવાયત છે. નીખીલ, તું હવે છાપાં વાંચવાનાં બંધ કરી દે. એમાં હવે કાંઈ નથી. એ સૌને એમના ભાગ્ય ઉપર છોડી દેવામાં આવ્યાં છે.
હા, હજીય કેટલુંક પત્રકારત્વ કેવળ આ શ્રમજીવીઓ અને સબડી રહેલાંઓની વાતો કરવાનો ધર્મ બજાવીને મારા તારા જેવાની શ્રદ્ધા ટકાવી રહ્યાં છે. આપણે એમની વાત સૌમાં ફેલાવીને કંઈક કરી શકીશું. આપણે ગામડે જઈએ કે શહેરમાં જ રહીએ પણ આપણું કાર્ય અને ધ્યેય બસ, અહીં જ આસપાસમાં છેલ્લા શ્વાસે જીવી રહેલાંઓ માટે જ વીચારવા-જીવવામાં રહેલું છે.
ખબર નથી, આપણે શું કરી શકીશું. કઈ રીતે આગળ વધી શકીશું, પણ હવે વહેલી તકે આવી જ કામગીરી કરતી સંસ્થાઓમાં જોડાઈને જ આપણને હાશ થશે…
જેમને સાંજનું વાળુ મળવાનું નથી એમની ‘હાશ’ આપણે ક્યારે સાંભળીશું ?!!!!!
–ક્ષમાની વેદના ભરી ને અસહાય યાદ !
ગઈ કાલે પબ્લીશ થયેલા ક્ષમાના પત્રના અનુસંધાને આજના જ સંદેશમાં વાંચેલા એક મુખ્ય સમાચારોમાના આ એક સમાચાર વાંચો !!! :
ફક્ત અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ જ માસમાં આત્મહત્યાના બનાવોની જાણકારી :
જાન્યુઆરી-08 પુરુષોની : 34 સ્ત્રીઓની : 19 કુલ 53
ફેબ્રુઆરી-08માં પુરુષોની : 23 સ્ત્રીઓની: 19 કુલ 42
માર્ચ-08માં પુરુષોની :34 સ્ત્રીઓની : 20 કુલ 54
ત્રણ માસમાં કુલ પુ. : 91 સ્ત્રીઓ : 58 કુલ :149
પ્રતીપત્રો