Archive for the 'સ્નેહીજનોને પત્રો' Category

હાઈકુમાં કેટલા અક્ષરો ?

ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ.
–સંકલન : જુગલકીશોર.
——————————————————————————————————-
 (હાઈકુ : 4)
[ પ્રીય મીત્ર ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તને અવશ્ય ગમશે જ....: ]

હાઈકુને એક જ ઉદ્ગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને એક પંક્તીની ઉક્તી પણ કહે છે. સદીઓથી એનું પંક્તીમાપ નક્કી થયેલું જ છે. એના અક્ષરો તો સત્તર જ હોય છે તે જાણીતી વાત છે. એ અક્ષરો 5-7-5 પ્રમાણે ત્રણ પંક્તીમાં વહેંચાય છે એ પણ નીશ્ચીત જ છે.

આપણા મંદાક્રાંતા,પૃથ્વી, શીખરીણી જેવા સત્તરાક્ષરી છંદો પણ જાણે હાઈકુની જ અવીભાજીત પંક્તી હોય એવું લાગે છતાં એમાં ફેર એ છે કે હાઈકુમાં ગણોની વ્યવસ્થા કે માત્રામેળના નીયમો લાગુ પડતા નથી. યતી પણ નક્કી કરેલી જગ્યાએ આવતી નથી.

શ્રી સ્નેહરશ્મી પોતાની પ્રસ્તાવનામાં નોંધે છે કે  હાઈકુમાં 17 અક્ષરો અનીવાર્ય છે શું ? એવો પ્રશ્ન થતો જ રહ્યો છે એટલું જ નહીં આ સત્તરાક્ષરો સામે બળવો પણ થયો છે. છતાં આ બંધારણ બદલાયું નથી એ જ એની સધ્ધરતા બતાવે છે. એકાદ અક્ષર ઓછો-વધુ થાય તો ચલાવી લેવામાં આવ્યો છે એ પણ હકીકત રહી છે. અને 15 કે 18 અક્ષરોના હાઈકુ જોવા મળે જ છે. આપણી માતૃભાષામાં પણ આ જ નીયમ યથાવત્ રહ્યો જણાય છે.

આટલી મર્યાદીત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી  એ બહુ સંયમ અને વીવેક માગી લેનારી બાબત છે. આ મર્યાદા અંગે ગુજરાતીના બે વીદ્વાનો સાથે સ્નેહરશ્મીને જે લાંબી વીચારણા થઈ એના ફળસ્વરુપે એમણે બે હાઈકુનો દાખલો આપીને એક બહુ જ ઉપયોગી સામગ્રી પ્રસ્તાવનામાં પીરસી છે. આ આખી ચર્ચા આપણ સૌને ઉપયોગી થાય એમ માનીને અહીં મુકવા મન છે.
‘ઉંડી અને સુક્ષ્મ સમજવાળા’ બે કવીઓની સાથે સ્નેહરશ્મીએ જે પ્રયોગો કર્યા હતા તેની વાત પણ કરી લઈએ. આ બન્ને કવીઓ તે શ્રી હસમુખ પાઠક  અને શ્રી નિરંજન ભગત.  બન્નેના એક એક હાઈકુ કે જે સત્તરથી વધુ અક્ષરોનાં હતાં તેને  અંગે બહુ વીગતે અને અર્થસભર વાતો લખી છે. આપણે પણ તેમાં ડુબકી મારી જોઈએ !

શ્રી પાઠકનું હાઈકુ આ પ્રમાણે હતું :

તળિયે સ્વસ્થ ચંદ્રમા
ભાંગતો ચંચળ સપાટી પર
ઓચિન્તી કોઈ લ્હેરમાં.
શ્રી ભગતનું હાઈકુ આ પ્રમાણે હતું :

હું ને મારો પડછાયો–
પણ રાતે જ્યાં દીપક બુઝ્યો
હું ત્યાં એકલવાયો.

આ બન્ને હાઈકુ વીષે શ્રી સ્નેહરશ્મિ ઉંડી વીચારણાને અંતે જે ફેરફારો સુચવે છે તેમાં રહેલી હાઈકુના સ્વરુપ વીષેની વીભાવના આપણને  ખુબ જ ઉપયોગી થશે….તેઓ કહે છે :


” જેમ જેમ આ કાવ્ય ઘુંટાતું ગયું તેમ તેમ પ્રશ્નો ઉઠવા લાગ્યા કે એની ત્રીજી પંક્તિ ન હોય તો કાવ્યના સ્વરૂપમાં કંઈ ફેર પડે ખરો ? બીજી પંક્તિમાંનો ચંચળ શબ્દ ત્રીજી પંક્તિને  પોતાનામાં સમાવી નથી દેતો ? જો ત્રીજી પંક્તિ ન હોય તો વ્યંજનાને વધુ  અવકાશ મળે એવું લાગતું નથી ? જો એ સાચું હોય  તો ત્રીજી પંક્તિના આઠ અક્ષરો આપોઆપ ઓછા થઈ જાય, બાકી રહેલા 19માંથી ‘ચંદ્રમા’ની જગ્યાએ ‘ચંદ્ર’ અને ‘ભાંગતો’ની જગ્યાએ ‘ભાંગે’ પ્રયોગ થાય તો સત્તર અક્ષરોનું માપ જળવાઈ રહે અને અર્થને અનુલક્ષીને 5-7-5 મુજબ ત્રણ પંક્તિમાં વિભાજન પણ થઈ શકે.

“શ્રી પાઠક સાથે ચર્ચા થતાં તેમણે નીચે પ્રમાણે પાઠ યોજ્યો. હાઈકુના સ્વરૂપને સમજવામાં એમનો મૂળ પાઠ (ઉપર દર્શાવ્યો છે તે ) અને આ નવા પાઠનો તુલનાત્મક અભ્યાસ ઉપયોગી જણાશે. એ આ પ્રમાણે છે :
તળિયે ચંદ્ર
સ્વસ્થ ભાંગે સપાટી
ઓચિન્તી લ્હેર.
” શ્રી ભગતની (ઉપર જણાવી છે તે ) કૃતિ ઉપર હું રટણ કરતો ગયો તેમ તેમ એમાં રહેલું હાઈકુ બહુ સુરેખ રીતે મારા મનમાં આકાર લેતું થયું. અહીં પણ પેલો પ્રશ્ન મને ઉદ્ભવ્યો, એના 25ની જગ્યાએ 17 અક્ષરમાં એ ન સમાઈ શકે ? બીજી વાત જે મારા ધ્યાનમાં આવી તે  “હું ત્યાં એકલવાયો”ના વિધાનને લગતી હતી… હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ બોલતો નથી. હાઈકુનો કવિ “હું ત્યાં એકલવાયો” કહેવાને બદલે તે એકલવાયો છે એવું આપણને લાગે એવી પરિસ્થિતિ સર્જતો હોય છે. શ્રી પાઠક સાથે ચર્ચા નીકળતાં તેમને નીચે પ્રમાણેનો પાઠ યોજ્યો :
હું — પડછાયો
તિમિરે બુઝ્યો દીપ…
એકલવાયો.
આશા રાખું છું કે આ વીગતો તને કંઈ કોમેન્ટ કરવા પ્રેરશે. વધુ હવે પછી….!
============================================================

સ્નેહરશ્મીને ‘હાઈકુ-રશ્મી’ કહેતા કાકાસાહેબના બે પત્રો..!!

સ્નેહરશ્મિને કાકાસાહેબ કાલેલકરના બે પત્રોનો સારાંશ.
{સંસ્કૃતિ-ફેબૃઆરી,૧૯૬૭}
—————————————————————————————————————–
રાજઘાટ, નવી દીલ્હી. તા.૨૨-૨-૬૬.
પ્રીય ઝીણાભાઈ,
તમારા મધુર મીઠા કાગળ…પછી તમારું બુકપોસ્ટ મળ્યું, જેમાં ‘તમારી દુનીયા’એ (સ્નેહરશ્મીનો  હાઈકુસંગ્રહ)દર્શન દીધાં. પણ ચીત્ત ચોર્યું તમારાં હાઈકુએ. હવે પછી તમને હું ઝીણાભાઈ નથી કહેવાનો, “હાઈકુ-રશ્મિ” કહીશ.

કાશ્મીરના મમ્મટે ‘અનલંકૃતી પુનઃક્વાપી’ કહીને અલંકાર વગરની કવીતા માટે જાણે તે દોષ હોય તેમ માફી માગી જણાય છે. પણ એવું શા માટે ? અલંકાર એ કાંઈ કાવ્યનું સર્વસ્વ નથી-કેવળ ઘરેણાં છે. હું તો માનું છું કે ક્ષમા યાચીને નહીં પણ પુરા અધીકાર સાથે સાહીત્યક્ષેત્રમાં પોતાનું ઉંચું સ્થાન છે એમ જાહેર કરવા જ હાઈકુનો અવતાર છે. તમે હાઈકુનો કેવળ છંદપ્રકાર અપનાવ્યો નથી પણ હાઈકુ પાછળનો આત્મવીશ્વાસ પણ અપનાવ્યો છે….

કેટલાંક નાજુક ફુલોની સુગંધ પણ એટલી નાજુક હોય છે કે તે વરતાય, પણ ઓળખાતી નથી. પણ એ જ એનું માહાત્મ્ય અથવા કાવ્યત્મ્ય….હવે તમારે નાનાં હાઈકુઓનો ધોધ વરસાવવો જોઈએ……..
                           —————————————————-

તા.૯-૩-૬૬.

…બધા સાહીત્યકારો કહે છે કે ઉત્તમ કાવ્યમાં ધ્વની એટલે કે વ્યંજના હોવી જોઈએ. શબ્દો કે જે સીધો અર્થ આપે છે તે અભીધા…પણ કવીઓને, સીધી રીતે ન કહેતાં, આડકતરી રીતે કહેવામાં મઝા આવે છે. તે એટલે સુધી કે કાવ્ય માટે એ લોકોએ ‘વક્રોક્તિ’ નામ પસંદ કર્યું. ‘વક્રોક્તિ કાવ્ય-જીવિતમ્’  કહીને એમણે કહ્યું કે “કવીઓ વક્રોક્તી-માગ-નીપુણ” હોવા જોઈએ.

હવે, “સાદા શબ્દો વાપરીને ધ્વની અથવા વ્યંજના ઉત્પન્ન કરવી” એમાં વીવીધ અર્થો સુચવવાની જેટલી શક્તી કવીની હોય તેટલી જ શક્તી એ સુચનોને સમજવાની વાચકમાં પણ હોવી જોઈએ, નહીં તો ભેંસ આગળ ભાગવત થવાનું.

તેથી કવીતામાં બે જાતનો વીશ્વાસ હોવો જોઈએ :
૧) સુચન-અર્થ- પહોંચાડવાની શક્તી મારા શબ્દોમાં અને મારી રચનાઓમાં(કવીમાં) છે એવો આત્મવીશ્વાસ અને
૨) મારા શબ્દોમાં જે સુચન હશે તે ઝીલવાની શક્તી મારા વાચકોમાં હશે તેવો વીશ્વાસ…આ બન્ને પ્રકારના વીશ્વાસને હું આસ્તીકતા કહું છું……

કાવ્યશાસ્ત્રનું જ ઉદાહરણ લઈએ તો, એક જણે કહ્યું, ” ગતો અસ્તં અર્કઃ !” (સુર્ય આથમ્યો) આ વાક્ય હાઈકુનો નમુનો ગણું છું. આનો અર્થ બ્રાહ્મણોએ કર્યો, “સંધ્યાવંદનનો સમય થયો.” ચોરોએ કર્યો, ” હવે ખાતર પાડવાની તૈયારી કરવી જોઈએ.” બાળકોએ અર્થ કર્યો, “ઘેર જઈ મા પાસેથી પ્રમોદી મેળવી શકાય.”

તમારા હાઈકુઓમાં ઓછામાં ઓછા શબ્દો વાપરી..નોંધ જ કરવામાં આવે છે.પણ તે એવી ખુબીથી કે એમાંથી અનેક જાતની વ્યંજનાઓ કાઢી શકાય……

હાઈકુના છંદ વીષે મેં તમને કહ્યું જ છે કે જુના વખતમાં જાપાની છંદનું અનુકરણ કરી કોકે અંગ્રેજીમાં પાંચ લીટીઓના નમુના આપ્યા હતા એ મને ખુબ જ ગમ્યા હતા. તમે કહ્યું હતું કે તેને તાન્કા કહે છે. અને એમાંથી જ હાઈકુની ઉત્પત્તી થઈ છે…. અર્થાન્તરન્યાસમાંથી છેલ્લી લીટીની કહેવત બને છે તેમ જ તાન્કામાંથી હાઈકુ આવ્યાં.

હાઈકુમાં શબ્દો ઓછા, વર્ણન સાદું અને વ્યંજનાને અવકાશ અપરીમીત - અપાર ! એવાં હાઈકુ દ્વારા બોધ પણ અપાય અને ઝાટકણી પણ કઢાય. હાઈકુમાં નવેનવ રસ વ્યક્ત થઈ શકે પણ એ તો સમર્થ કવીનું કામ. નીરસતા ઢાંકવા માટે કોઈ હાઈકુ વાપરે તો જોતજોતામાં ઉઘાડો પડે….હાઈકુની કેટલીક લીટીઓ કહેવત જેવી પણ થઈ શકે, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે……
–કાકાના સપ્રેમ જય હાઈકુ.
                                         —-===000===—-

‘સપ્તક’નો દુનીયાનો નંબર વન જલસો ! 45 રાગો !

ભાઈબંધ વીનોદ,

આમ તો તને ડૉ. વીનોદ લખવું રયું ! ગુજરાતીભાષા-સાહીત્યમાં ડૉક્ટરેટ થયા પછી આગળ ડૉ. લગાડાય તે સારું લાગે જ. પણ આપણી ભાઈબંધીમાં ઈવડું ઈ આડું આવે હૉ ! નકામું વચાળે આવીને નડે; છેવટ કનડે તો  ખરું.

ગયા વખતે તને આંયાં અમદાવાદમાં સંગીતનો જે જલસો થૈ ગ્યો એની વાત માંડી’તી. ઈમાં તેરે તેર દી’નો કારયકરમ  તને લખી મેકલ્યો હતો. તને ઈ ગમ્યો ‘તો એવો ઈસારો તારા ટેલીફોનમાં હાંભળીને હવે આજ આ બીજો ભાગ પણ તને મેકલી દઉં છું.

13 દીવસ લાગલગાટ સાસ્ત્રીય સંગીતના જલસા દુન્યામાં ક્યાંય થાતા નથી એવું તો ઈ જલસામાં આવેલા મોટા કલાકારોય કે’તા’તા હો, ભાઈ વીનુ ! હંધાયે એક વાત તો વારે વારે કીધી’તી કે આવો જલસો દુન્યાના કોઈ દેસમાં નથી થાતો. એટલું જ નહીં હંધાયે એય કીધું’તું કે અમદાવાદ જેવા હાંભળનારાંય બહુ ઓછી જગ્યાએ હોય છે !

મારી વાત તને ખોટી લાગતી હોય ને તો પુછી જોજે અમેરીકાથી આવેલા ડૉ.રાજેન્દ્રભાઈ ત્રીવેદીને ! ઈવડા ઈ ઠેઠ અમેરીકાથી આવીને આંયકણે આ જલસામાં ઠેઠોઠેઠ લગણ બેશીને જલસો માણતા’તા !  ઈ શીવાય, હમણા અમદાવાદ-મુંબઈમાં નાનકડા જલસાઓ ગોઠવીને આ નેટજગતનું ધ્યાન ખેંચનારા ‘ધબકાર’ના જુવાનીયાઓનેય પુછી જોજે, કે આ જુગલભાઈની વાતું હાવ ગપ્પાષ્ટક તો નથી ને ?! ઈવડાં ઈ માળા આગલી લાઈનું રોકીને જલસો માણતા’તા, બોલો ! ઈ ‘ધબકાર’ના જુવાનોનેય મઝો તો પડી ગયો હશે કારણ કે  ઈમાંના કેટલાક તો પાછા તબલચી છે ! જબરું વગાડે હો, ભાઈ વીનુ !

પણ હું તો આ આડી વાતે સડી ગ્યો. આજ તો મારે તને આ 13 દી’ના જલસામાં જે બધા રાગ ગવાયા કે વગાડાયા ઈ હંધાય તને વંચાવી દઉં એમ થાય છે. ઓહોહો, ભાઈ ! આ 13 દી’માં ગાયનવાળા ને વાજીંત્રું વગાડનારાં હંધાયે મળીને તને નવાઈ લાગશે પણ 44 રાગ-રાગીણીઉં વગાડી’તી !! એમાં 20 તો બબ્બે-ત્રણત્રણ વાર બજાવાયેલી, એટલે બધી થઈને 64 આઈટેમું હતી, બોલો.  આજ તો ફકત ઈની યાદી જ કરીને મોકલવા વચાર છે. બાકી તો ઈમાંનું ઘણુંય છે, તને લખવાનું. પણ આજ તો આ યાદી જ ફકત. લે જોઈલે ઈ હંધાય રાગ :
—————————————————————
‘સપ્તક’માંના કુલ રાગો :
 
1]  ગોરખ કલ્યાણ (ત્રણ વાર )
2]  પુરીયા કલ્યાણ
3]  શામ કલ્યાણ (બે વાર)
4]  પરજ
5]  ખમાજ અને મીશ્ર ખમાજ
6]  ઝીંઝોટી
7]  દુર્ગા (મારો પ્રીય રાગ, હો !)
8]  કૌશી કાનડા (માલકંસ-દરબારીનું મીશ્રણ) બે વાર
9]  માંજ ખમાજ
10] ભૈરવી (રાગોની રાણી કેવાય છે; ત્રણ વાર)
11] ભુપાલી
12] નારાયણી
13] રસીકપ્રીયા (કર્ણાટકી)
14] જોગ અને જોગકૌંસ (ત્રણ વાર)
15] શંકરા (વીરરસપ્રધાન રાગ)
16] સોહીણી અને વસંત સોહીણી
17] સરસ્વતી (કર્ણાટકી)
18] ખરાડી
19] બીહાગ,હેમબીહાગ, મારુબીહાગ( છ વાર )
20] નંદ
21] અભોગી અને અભોગી કાનડા
22] મીશ્ર પહાડી (બે વાર)
23] ગુર્જરી તોડી (સવારનો રાગ હોઈ રવીવારની સવારની સભામાં)
24] જોનપુરી ( ઉપર મુજબ )
25] બ્રીન્દાવની સારંગ (બપોરનો પણ રવીવારે સવારે મોડેથી ગવાયેલો)
26] આદી વસંત
27] દરબારી (બે વાર)
28] અડાણા
29] તીલકશામ (પંડીત રવીશંકરે સર્જેલો; તીલકકામોદ-શામકલ્યાણનું મીશ્રણ)
30] રાજેશ્વરી (ભીન્નકૌંસ)
31] ચન્દ્રનંદન (પાચેક જાણીતા રાગોનું મીશ્રણ)
32] કાફી (ટપ્પા)
33] પુરીયા ધનાશ્રી
34] બાગેશ્રી ( મારો વહાલુડો ને ત્રણ વાર !)
35] પીલુ
36] યમનકલ્યાણ
37] જનસંમોહીની
38] ભીન્નષડજ
39] માલકૌંસ (રાગોનો રાજા)
40] મારવા
41] નટભૈરવ
42] મીશ્ર માંડ
43] બસંત-બહાર
44] પુર્વી
45] પ્રાદેશીક લોકસંગીત આધારીત ગીતો-ભજનો (પાંચેક) 

—————————————————————
બસ તો ભાઈ વીનુ, આજ તો આટલું જ. પણ યાદ રાખજે, ટેમ મળશે તો આ જલસાની એવી કેટલીક વાતું છે જેને સાંભળીને મઝો જ પડી જાય ! પણ ઈ હંધુ આજ નૈં !
હંભારીને ક્યારેક જવાબ દેજે. પોસ્ટકાર્ડ પચ્ચી ફદીયાનું જ આવે છે હો !! તારો ભાઈભંધ, જુ.

સંગીતજગતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય સમારોહ !!

‘સપ્તક’ : આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહ : 1

પ્રીય વીનુ,

આજે તને ઘેર બેઠાં મળી રહે એવા સંગીત સમારોહની વાત કરવા આ લખી રહ્યો છું. તને નીમંત્રણ તો વારંવાર આપીને મારું મોં દુખી ગયેલું પણ તા.1 થી 13 જાન્યુઆરી દરમીયાન રજા લઈને અમદાવાદ મારે ઘેર ધામા નાખવાનું તને ન સુઝ્યું તે ન જ સુઝ્યું ! એટલે છેવટે પછી આમ રીપોર્ટ લખીને મારા જીવને સંતોષ અને તારા જીવને ‘હાશ, અમદાવાદનો ધુમાડો ખાવામાંથી બચ્યાં’નું સુખ આપવા વીચારીને ‘સપ્તક’ના વીશ્વપ્રસીદ્ધ સંગીત સમારોહની વાતો એક પછી એક લખી મોકલીશ. છેવટે તું જીત્યો એનુંય ગૌરવ કરીશ, એમ માનીને કે તેં એટલા દીવસના રોટલા મારા બચાવ્યા !!

આજે પ્રથમ હપ્તામાં ફક્ત આ 13 દીવસોના કાર્યક્રમની યાદી જ આપીશ પરંતુ આગળ જતાં હું તને એ સમારંભની કેટલીક અદ્ભુત વાતો પણ પીરસીશ જે વાંચીને તું મંત્રમુગ્ધ ન થાય તો જ નવાઈ ! તો સાંભળ આ 13 દીવસીય, વીશ્વના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત સમારોહના કાર્યક્રમની વીગતો : [આ યાદીમાં જેમના નામની ઉપર * આવી ફુદડી હોય તેઓ કાં તો ‘સપ્તક’ના વીદ્યાર્થીઓ હશે કે કાર્યકરો-અધ્યાપકો હશે]

આ સમારોહ શાસ્ત્રીય સંગીતની દુનીયાનો સૌથી લાંબાગાળાનો અને મોટો સમારોહ ગણાય છે તેવો અભીપ્રાય મારા ખીસ્સાનો નથી હોં, વીનું !! સમારંભ દરમીયાન ઓછામાં ઓછાં પાંચેક આંતરરાષ્ટ્રીયમહાન કલાકારોએ આ વાત જાહેરમાં કહી છે !! હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે છેલ્લાં સાતેક વરસથી આ અલભ્ય લાભ લઈ શકું છું. પરંતુ આપણામાં ગમતાંનો ગુલાલ કરવાની જે વૃત્તી રહેલી છે તેના કારણે જ આ લાભ કમસે કમ રીપોર્ટ દ્વારા તો સૌમાં વહેંચી શકું એ ભાવ આ પત્ર પાછળ રહેલો છે.
===============================================================


તારીખ : 1-1-’08
  (દરરોજ  8.30 પી.એમ.થી 2.00 એ.એમ.)

1]   શહેનાઈવાદન : ઉસ્તાદ અલી એહમદ હુસેન ખાન [મદદરુપ],એહમદઅબ્બાસ અને હસન હૈદર [તબલાં]  સન્દીપબેનરજી[સુર મંડલ] એહમદ અલી  [સુર પેટી] પલ્લબચેટરજ[દુક્કડ] બીરીશ્વર ભોમીક.
2] ગાયન  : વીકાસ પરીખ* [તબલાં] માતંગ પરીખ*  [હાર્મોનીયમ] કીશોર કુંતે [સારંગી] અલ્લા રખા કલાવંત*.                
3] તબલા :  [જુદાજુદા ઘરાણાના] પંડીત વીજયશંકર મીશ્રા[કંડક્ટર] ; સર્વ શ્રી પ્રવીણ કરકરે  [અજ્રાણા]; અમીત કુમાર [પંજાબ]; સચીન શર્મા[લખનૌ]; ઝાકીર અખ્તર [ફરુખાબાદ]; હેતલ મહેતા* [બનારસ]; ઉમેશ મોઘે [દીલ્હી]; હાર્મોનીયમ : શીશીરચન્દ્ર ભટ્ટ* ; સારંગી : સરવર હુસૈન.
4] ગાયન  : શુભા મુદ્ગલ તબલા : અનિશ પ્રધાન; હાર્મોનીયમ : વલવાલ્કર
—————————————————————
તા. 2–1-’08


1] સિતાર  :  ઉસ્તાદ સુજનખાન તબલાં : સંદીપ દાસ.
2] ગાયન  : રુપાંદે  શાહ* ; તબલા : વિનોદ વૈષ્નવ* ; હાર્મોનીયમ: રાજુ ગંધર્વ*.
3] બાંસુરી વાદન  :  પંડીત હરિપ્રસાદ ચોરસિયા  ; તબલા : વિજય ઘાટે.
—————————————————————
તા. 3-1-’08

1] ગાયન : શ્રીમતીઅલકનંદા પલ્નીતકર ; તબલા :રામસ્વરુપરાતોનીયા;હાર્મોનીયમ: યામીનખાન* ; સારંગી : ફારુખ લતીફખાન.
2] સંતુર  : રાહુલ શર્મા ; તબલાં : આદીત્ય કલ્યાણનપુર.
3] ગાયન  : પંડીત જસરાજ ; સહાયક: રતન મોહનશર્મા ; તબલાં : નંદન  મહેતા*[સપ્તકના સ્થાપક-સંચાલક] તબલાં-સહાયકકુ. હેતલ મહેતા* ; પખવાજ : હેમંત ભટ્ટ* ; હર્મોનીયમ : મુકુન્દ પેટકર.
—————————————————————
તા.4-1-’08

1] સારંગી : ઉસ્તાદ સુલ્તાન ખાન ; સારંગી-સહાયક : દીલશાદ ખાનઅને સબીરખાન ; તબલાં : નંદન મહેતા *; તબલાં સહાયક : પ્રવીણ શીંદે *.
2] ગાયન : પંડીત ઉલ્હાસ કાશલકર  ; તબલાં : ગોપાલ મીશ્રા ; હાર્મોનીયમ : પુરુષોત્તમ વલ્વલકર.
3] સીતાર : ઉસ્તાદ નીશાત ખાન ; તબલાં : ઉસ્તાદ રશીદ મુસ્તફા થીરકવા
—————————————————————
તા. 5-1-’08

1] ગાયન : કુ. કલાપીની  કોમકલી  ; તબલાં : સંજય દેશપાંડે ; હાર્મોનીયમ : અમીત ઠક્કર *
2] સીતાર-જુગલબંધી : શ્રીમતી મંજુ મહેતા * (સપ્તકનાં સ્થાપક-સંચાલક) ;  અને ક્રીષ્નમોહન ભટ્ટ ; તબલાં : અક્રમખાન
3] ગાયન : પંડીત અજય ચક્રવર્તી ; તબલાં : ગોપાલ મીશ્રા ; હાર્મોનીયમ : બ્રીજેશ્વર મુખર્જી
—————————————————————
તા. 6-1-’08  રવીવાર ( સવારની સભા 9.30 થી )

1] સીતાર : નરેન્દ્ર મીશ્રા ; તબલાં : સંદીપ દાસ
2] પંડીત રાજન મીશ્રા/ સાજન મીશ્રા ; તબલાં : અરવીંદ આઝાદ ; હાર્મોનીયમ : ઉસ્તાદ મહમુદ ધૌલપુરી
—————————————————————
(સાંજની સભા : 8.30 પી.એમ. થી )


1] ગાયન  : શ્રીમતી સુમીત્રા ગુહા
; તબલાં : નીહાર મહેતા* ; હાર્મોનીયમ: યામીન ખાન* ; સારંગી : કમાલ સાબ્રી
2] સીતાર : ગૌરવ મજમુંદાર ; તબલાં : પંડીત પુરન મહારાજ*
3] ધ્રુપદ-ગાયન : ઉસ્તાદ વસીફુદ્દીન ડાગર ; પખવાજ : મોહન શ્યામ શર્મા
—————————————————————
તા. 7-1-’08

1] ગાયન  : શ્રીમતી મોનીકા શાહ ;  તબલાં : વીનોદ વૈષ્ણવ* ; હાર્મોનીયમ : રાજુ ગાંધર્વ*
2] સમુહ-સીતાર વાદન  (17 સીતાર, એક સરોદ)  : સપ્તકનાં કલાકારો–વીદ્યાર્થીઓ* : તબલાં : સપન અંજારીયા *
3] ગાયન  : ઉસ્તાદ શૌકત હુસૈન ખાન *; તબલાં : પંડીત પુરન મહારાજ* ; હાર્મોનીયમ : ઉસ્તાદ મહમુદ ધૌલપુરી ; રમેશ મીશ્રા : સારંગી      
4] સંતુર : પંડીત શીવકુમાર શર્મા  ; તબલાં : ઝાકીર હુસેન
—————————————————————
તા. 8-1-’08

1] સરોદ : સુનીલ મુખરજી ; તબલાં : અકરમ ખાન
2] ગાયન  : શ્રીમતી મીતા પંડીત  ; તબલાં : વીનોદ લેલે ; હાર્મોનીયમ : અમીત ઠક્કર * ; સારંગી : રમેશ મીશ્રા
3] તબલાં-સોલો : ઉસ્તાદ સાબીર ખાન ; સહાયક : અરીફ ખાન ; સારંગી : મુરાદ અલી
4] ગાયન : ઉસ્તાદરશીદખાન;તબલા: સત્યજીત તલ્વલકર; હાર્મોનીયમ :ઉસ્તાદમહમુદધૌલપુરી ;સારંગી:ઈકરામખાન
—————————————————————

તા. 9-1-’08

1] ગાયન  : કુ. નીના વીર્દી (લંડન) ; તબલાં : શબ્બીર હુસૈન* ; હાર્મોનીયમ: અજય જોગલેકર; સારંગી:અલ્લારખાકલાવંત*
2] તબલાં-સોલો : ધ્રુવ કોઠારી* ; હાર્મોનીયમ : જાજ્વલ્ય શુક્લ*
3] ગાયન : હરીચરન વર્મા ; તબલાં :સુધીર પાંડે ; હાર્મોનીયમ : મયંક વર્મા ; સારંગી : મોઈનુદ્દીનખાન
4] સીતાર : ઉસ્તાદ શહીદ પર્વેઝ ; સહાયક: શકીરખાન ; તબલાં : પંડીત કીશન મહારાજ; સહાયક: શુભ શંકર
—————————————————————
તા.10-1-’08

1] ગાયન : મહેન્દ્ર તોકે ; તબલાં : નકુલ મીશ્રા ; હાર્મોનીયમ : શીષીરચન્દ્ર ભટ્ટ *
2] સીતાર : પુરબીયાન ચેટરજી ; તબલાં : ફઝલ કુરેશી
3] ધ્રુપદ-ગાયન : ઉમાકાંત ગુંડેચા અને રમાકાંત ગુંડેચા ;  પખવાજ : અખીલેશ ગુંડેચા
——————————————————

તા. 11-1-’08

1] સંતુર : અભય રુસ્તમ સોપોરી ; તબલાં : મીથીલેશ ઝા
2] ગાયન : રીતેશ / રજનીશ મીશ્રા ; તબલાં : વીનીત વ્યાસ ; હાર્મોનીયમ : રાજુ ગાન્ધર્વ*
3] મોહન વીણા : પંડીત વીશ્વમોહન ભટ્ટ ; સહાયક : સલીલ ભટ્ટ ; તબલાં : રામકુમાર મીશ્રા
—————————————————————
તા. 12-1-’08

1] સરોદ : સૌગતો રોય ચૌધરી  ; તબલાં : દેબજ્યોતી સન્યાલ
2] ગાયન : કુ. શાંતી શર્મા ; તબલાં દેવેન્દ્ર દવે ; હાર્મોનીયમ : સુધીર યાર્ડી
3] વાયોલીન : પંડીત ડી. કે. દાતાર ; સહાયક : રત્નાકર ગોખલે ; તબલાં : અરવીંદ આઝાદ
—————————————————————
તા. 13-1-’08  (પુર્ણાહુતી દીવસ )

1] કથ્થક નૃત્ય : શ્રીમતી માધવી ઝાલા ; તબલાં : પૃથ્વીરાજમીશ્રા* ;પખવાજ: પ્રવીણ શીંદે *; હાર્મોનીયમ-કંઠ : ચીરંજીલાલ તનવર ; સારંગી : ભારતભુશણ ગોસ્વામી ; સીતાર : મનુ સીન
2] ગાયન : પાર્થસારથી દેસીકન ; તબલાં : સુભાશીશ ભટ્ટાચાર્ય ; હાર્મોનીયમ : અજય જોગલેકર
3] સીતાર : મેહબુબ નદીમ ; તબલાં : પૃથ્વીરાજ મીશ્રા *
4] ગાયન : કુ. કૌશીકી ચક્રવર્તી ; તબલાં : સુભાશીશ ભટ્ટાચાર્ય ; હાર્મોનીયમ : અજય જોગલેકર
===============================================================
ભાઈ વીનુ !

તને વાંચીને કાંઈ ખ્યાલ આવ્યો ? આ સમારંભમાં વીશ્વકક્ષાના સંગીતકારોનાં નામો તો છે જ પણ કેટલાંકે તો દર્શાવી દીધું હતું કે તેઓ હવે વીશ્વકક્ષાએ બેસી શકે એવી તૈયારી કરી ચુક્યાં છે !!
આજે તો આટલું ઘણું થઈ ગયું ! સપ્તક સમારોહની વધુ વીગતો આંકડામાં હવે પછી આપીશ. સપરીવાર કુશળ હશો. સમય મળે તો અભીપ્રાય લખજે જરુર. 

–તારો, આજે આ લખીને ખુબ ખુશ મીત્ર, –જુ.

રૅશનલધારાનાં બે સામયીકોને ઓળખાવતો પત્ર.

સહયોગીઓ,
ગઈકાલે એક સામયીકનો પરીચય કરાવતા એક પત્રની કૉપી મેં અહીં મુકી હતી. આજે આપણા જાણીતા ને માનીતા રૅશનાલીસ્ટ શ્રી રમણ પાઠક આપ સૌને લખે છે, વાંચી જવા વીનંતી અને શુભેચ્છાઓ સાથે, –જુ.  
—————————————————– 
રૅશનલ ચમત્કાર

 –પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

દેશ–વીદેશના આદરણીય હમસફર મીત્રો, 

આજે અમે આ વૅબસાઈટ શરુ કરી રહ્યા છીએ. એનો મંગલ ઉદ્દેશ, અમે અહીં ગુજરાતમાં જે વાંચીએ–વીચારીએ, તેના આપ સૌને હમસફર અને હમદર્દ બનાવવાનો છે. આ તો ગુજરાતની એક નવી જ દીશા અને નવી જ શુભ દશા, અર્થાત્ પ્રગતીશીલ તથા વૈજ્ઞાનીક વીચારો તેમ જ જીવનાભીગમની ધીમી છતાં મક્કમ આગેકુચ.

 રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ. માટે જ મુંબઈના મીત્રોએ પોતાના મુખપત્રનું નામકરણ કર્યું છે, ‘વીવેકપંથી’. એની સત્ત્વશીલ સામગ્રી દ્વારા મુંબઈ–ગુજરાત પ્રદેશમાં રૅશનાલીઝમનો જે પ્રચાર–પ્રસાર થઈ રહ્યો છે એમાં પાયાના પુરુષ છે, શ્રી. ગુલાબ ભેડા** –‘વીવેકપંથી’ના તંત્રી અને દૃષ્ટીવંત સંપાદક. આર્થીક તંગી અતી તીવ્ર હોવા છતાંય દરમાસે આ સામયીક આજે તો નીયમીત પ્રગટે, અચુક વહેંચાય–વંચાય–ચર્ચાય. વળી, એની નેત્રદીપક સામગ્રીને કારણે તે અતી લોકપ્રીય પણ બન્યું છે.

 હવે આપ સૌને, મતલબ કે વીશ્વભરના લાખો ગુજરાતી વાચકોને પણ નેટ પર તે નીયમીત જાણવા–વાંચવા મળશે. આ છે વીજ્ઞાનનો ચમત્કાર ! ચીલાચાલુ ચમત્કારના વીરોધી એવા રૅશનાલીસ્ટો વીજ્ઞાનના આવા ચમત્કારને તો વધાવે છે. વધુમાં, નોંધપાત્ર તથા આવકાર્ય ઘટના તે એ કે, ‘વીવેકપંથી’ શરુઆતથી ‘ઉંઝાજોડણી’માં જ છપાય છે. મીત્રો, ‘ઉંઝાજોડણી’ને ‘રૅશનલજોડણી’ તરીકે માન્ય કરવામાં આવી છે, એ કદાચ આપ જાણતા જ હશો.

 બીજું એવું જ એક સામયીક છે, ‘વૈશ્વીક માનવવાદ’ અને તેના તંત્રી છે મહેમદાવાદ સ્થીત શ્રી. બીપીન શ્રોફ. તેઓ પણ પ્રતીમાસ આવા પ્રગતીશીલ તથા તંદુરસ્ત વીચારો, એટલે કે રૅશનલ વીચારો જનતા સમક્ષ નીયમીત મુકે જ છે. આ માસીક પણ પ્રગટે છે ‘ઉંઝાજોડણી’માં. મીત્રો, આવાં ‘ઉંઝાજોડણી’માં પ્રગટતાં અને રૅશનલ વીચારધારા પ્રસરાવતાં અન્ય સામયીકો પણ આ વેબસાઈટ પર મુકવાની અમારી નેમ છે.

 એ ઉપરાંત, જુદાં જુદાં સામયીકોમાં પ્રગટતાં લેખો–કાવ્યો આદી સામગ્રીમાંથી પણ રૅશનલ વીચારધારા પ્રસારક સામગ્રી આપને જાણવા–માણવા આ વેબસાઈટ પર અમે મુકીશું.

 આવી સમગ્ર યોજનાનો અર્થાત્ રૅશનલ વીચારોને વેબસાઈટનું સ્વરુપ આપવાનો ઉત્તમ વીચાર, ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકો પૈકીના સુરતના શ્રી. ઉત્તમ ગજ્જરને આવ્યો, જેઓ સુરતના નીવૃત્ત ભાષાશીક્ષક છે અને ‘ઉંઝાજોડણી’ના મીશનરી ધગશવાળા સમર્થક અને પ્રચારક છે. આ વીચાર તથા યોજનાને ટૅકનીકલ સ્વરુપ આપવાના ‘ધર્મકાર્ય’માં, મુળ સુરતના અને હાલ ચેન્નાઈસ્થીત સોફ્ટવેર કંપનીમાં કાર્યરત એવા નવયુવાન મીત્ર ભાઈ શ્રી. હીમાંશુ મીસ્ત્રીનો બહુમુલ્ય સાથ–સહકાર સાંપડ્યો છે.

 વેબસાઈટની  સામગ્રીના સંપાદનની જવાબદારી, મુળ સુરત જીલ્લાના બારડોલીની પાસેના આફવા ગામના અને હાલ અમેરીકા નીવાસી એવા યુવાન ભાઈ શ્રી. દીપક પટેલ તથા સુરતના આવાં સેવાકાર્યમાં રત એવા બે શીક્ષકો ઉત્તમ ગજ્જર અને ભાઈ સુનીલ શાહ સંભાળવાના છે. સુનીલભાઈ વીજ્ઞાન શીક્ષક છે, યુવાન છે અને વળી ઉભરતા કવી છે.

 આમ, નર્મદનગરી સુરતથી જ રૅશનાલીઝમની માનવીય વીચારધારાને ઈલેક્ટ્રોનીક પાંખે ઉડતું કરવાનો ઉત્તમ યજ્ઞ આરંભાય છે, એ આનંદની ઘટના છે. ગુજરાતમાં, ભારતવર્ષમાં અને દુરસુદુર દેશાવરમાં વસતાં લાખો ગુજરાતી પરીવારોમાં હવે ગુજરાતના રૅશનાલીસ્ટ આંદોલનની જાણકારી જન્મશે અને રૅશનલ વીચારો પહોંચશે; જેને આપ સૌ વીચારો, ચર્ચો અને એક માનવવાદી પુરુષાર્થ તરીકે યથાશક્તીમતી અનુસરો, બસ એ જ અમારો આનંદ.

 હવે મીત્રો, રૅશનાલીઝમ એટલે શું ? એય અમે આપને સંક્ષેપમાં જણાવીએઃ રૅશનાલીઝમને ગુજરાતીમાં ‘વીવેકબુદ્ધીવાદ’ કહેવાય છે; કારણ કે રૅશનાલીસ્ટ જીવનાભીગમનો પાયો જ છે વીવેક. ‘વીવેક’ એટલે એના મુળ સંસ્કૃત ભાષાકીય અર્થમાં સાર–અસારને, સત્ય–અસત્યને, શુભ–અશુભને, હીતકર–અહીતકરને યથાર્થ પારખવાની બુદ્ધીશક્તી. જેમ કે ‘નીરક્ષીર વીવેક’ એટલે દુધ અને પાણીને અલગ અલગ ઓળખી છુટાં પાડવાની વીવેકબુદ્ધી. આ કાર્યનાં ત્રણ પગથીયાં છેઃ તર્કવીવેક, નક્કર અનુભવ અને વૈજ્ઞાનીક પ્રયોગ. આ ત્રણેય પ્રક્રીયામાં અચુક તથા એક પણ અપવાદ વીના જ એકધારું ટકીને પાર પડે તે સત્ય–વૈજ્ઞાનીક સત્ય.

 આવો, વૈજ્ઞાનીક અભીગમ પ્રાપ્ત થતાં જ એવી વ્યક્તીને વહેમો, અંધશ્રદ્ધાઓ, મીથ્યા માન્યતાઓ, અર્થહીન કર્મકાંડો, ગુરુગ્રંથોની વણસમજી, એકપક્ષી, નીરર્થક અને ઘણી વાર તો ગંભીર હાનીકર્તા એવી નાગચુડમાંથી બસ મુક્તી જ મુક્તી ! પછી તો જે વૈજ્ઞાનીક સત્ય છે, એના જ આધાર પર, એને જ માન્ય એવાં નીતી, આચારસંહીતા તથા ‘ધર્મ’ને અનુસરતાં, બસ મુક્ત અને નીર્ભય, સ્વચ્છ અને સ્વસ્થ જીવન જીવવાનું. બોલો, કેટલી શાંતી !

 દોસ્તો, રૅશનાલીઝમની વ્યાખ્યા જ એવી છે કે, એમાં તર્કવીવેક (રીઝન)ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર અને એ જ પ્રમાણેનાં નીતી–આચાર મુજબનું જીવન, અર્થાત વૈજ્ઞાનીક જીવનાભીગમ. આમ, રૅશનાલીઝમ એ કોઈ વીચાર કે વાદ માત્ર નથી; જીવન પદ્ધતી છે, જીવનકલા છે. 

 રૅશનાલીઝમ એ સત્ય પામવાની વીચાર–તર્કયુક્ત પદ્ધતી તો છે જ, ઉપરાંત એ તો સત્ય જીવવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે અને શાસ્ત્રો પણ કહે છે કે સત્યની સાધના જીવનનાં અને સમાજનાં સર્વ અનીષ્ટોને હણી નાખે છે, અસ્તુ..

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’
એ–૪, નટરાજ એપાર્ટમેન્ટ, સરદાર બાગ, બારડોલી–૩૯૪ ૬૦૧ ફોનઃ ૦૨૬૨૨–૨૨૨ ૧૭૬

————————

           ** શ્રી. ગુલાબ ભેડા, તંત્રી, ‘વીવેકપંથી’

         2-C/1, Asmita Mogra, Datta Jagdamba Marg, Sher-E-Punjab Colony, Andheri-East

        Mumbai-400 093 Phone : (022) 2838 8891

                                                                           ♦♦♦   ♦♦♦   ♦♦♦   ♦♦♦  

         “હે લોકો,
          હું જે કંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.
         તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.
         આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.
         તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.
         લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
         સુંદર લાગે છે માટે ખરું માનશો નહીં.
         તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
         હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું, એવું જાણી સાચું માનશો નહીં.
         પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો,”
         –ગૌતમ બુદ્ધ

 

For your comment and opinion write to
Sunil Shah : vivekpanthi@gmail.com

  વીવેકપંથીના જુના અંકો વાંચવા નીચે Archive-01 અને ‘વૈશ્વીક માનવવાદ’ ના જુના અંકો વાંચવા Archive-02 ઉપર ક્લીક કરો….


Home :: Archive-01 ::Archive-02::Additional Articles :: Contact Us
website created by Himanshu Mistry ; maintained by Uttam Gajjar and Sunil Shah

એક ઉત્કૃષ્ઠ સામાજીક મેગેઝીન નેટ ઉપર !!

સહયોગીઓ,

આજે એક એવા સામયીક વીષે માહીતી આપવી છે જેણે 30 વરસથી સમાજના સાવ સામાન્યજનની વાતો હૃદયના ઉંડા ભાવથી પીર્સ્યાં કરી છે !

ખાસ જણાવવાનું તો એ છે કે આ સામયીક ‘નયા માર્ગ’ આ નવા વર્ષથી નેટ પર પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે !! હવે આપણા દેશના સામાન્યજનની વાત આપ પણ ઘેર બેઠાં મેળવી શકશો.

આ સીવાય પણ બીજાં બે સામયીકો આ વર્ષથી જ નેટ પર આવી રહ્યાં છે જેનો પરીચય પણ હવે પછી અહીં જ આપીશ.

આપ સૌ એને વાંચી-માણીને જે આનંદ લેશો તેમાં દેશનાં કરોડો સામાન્યજનની વાતને પ્રકાશ પ્રાપ્ત થશે એ વીષે ની:સંશય છું.

તો, સયોગીઓ,લો આજથી જ કરો શરુઆત !

આપનો, જુગલકીશોર.

‘નયામાર્ગ ‘ દ્વારા એક નવો આરંભ

વંચીતો–રહીતો માટેનો અવાજ હવે વીશ્વભરમાં સંભળાશે

–ડૉ. યોગેન્દ્ર વ્યાસ

 આપણો સમાજ કાયમ માટે બે વર્ગોમાં વહેંચાયેલો જોવા મળે છે : ભણેલો અને અભણ; શાહુકાર અને ગરીબ; સહીતો (have) અને રહીતો (have not); શેઠ અને નોકર; ઉંચો અને નીચો. આ બંને વર્ગોમાંનો પ્રથમ હંમેશાં બળવાન અને બોલકો રહ્યો છે. આપણો સમાજ પૌરાણીક સંદર્ભમાં ભારતીય સંસ્કૃતીની કે આજના સંદર્ભમાં લોકશાહીની ગમે તેટલી દુહાઈ દે; પણ આપણો બીજો વર્ગ ઉપેક્ષીત જ રહ્યો છે. કરુણતા તો એ છે કે પ્રથમ વર્ગ દ્વારા જ એવી સામાજીક વ્યવસ્થાઓ ગોઠવાતી રહી છે કે જેને કારણે આ બીજા વર્ગને ક્યારેય ઉંચે આવવાની તક મળતી નથી !

 આપણું સાહીત્ય,  આપણું મીડીયા, આપણા ધર્મ-સંપ્રદાયો અને ક્યારેક તો શીક્ષણપ્રથાઓમાં પણ જોઈશું તો, સમાજના પ્રથમ વર્ગને જ જાણ્યે–અજાણ્યે વીશેષ મહત્ત્વ અપાતું જોવા મળશે ! આ બધામાં સંખ્યાની દૃષ્ટીએ સમાજનો ખરેખર જે વીશાળ વર્ગ છે–બલકે સમાજના વીકાસમાં જેનાં અત્યંત મહત્ત્વનાં પરીશ્રમ–પ્રદાન છે તે, આ બીજો વર્ગ જ ‘ઉંચો’ ગણાવો જોઈએ . એને બદલે એ જ વર્ગ ઉપેક્ષીત રહે છે !

 આ બધાં પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે, આ વર્ગ વીશાળ અને મહત્ત્વનો હોવા છતાં એ બોલકો નથી. એને પોતાની વાત સમાજ પાસે રજુ કરવાની કાં તો જરુર જણાઈ નથી, કાં તો એની પાસે એ માટે સમજ - સગવડ – સજ્જતા નથી કે પછી તાકાત જ નથી. આપણા સાંસ્કૃતીક - ધાર્મીક આગેવાનો, શીક્ષણાચાર્યો અને કેટલાક રાજા-મહારાજાઓએ પણ આપણને આ મોટા છતાં નબળા વર્ગ તરફ વધુ ધ્યાન આપવાનું સુચવ્યું છે.

 આવા સંજોગોમાં આજે જે કાંઈ કામો આ નબળા મોટા વર્ગના લાભાર્થે થઈ રહ્યાં છે તેની સંખ્યા બહુ નાની છે. આ વર્ગનો અવાજ બુલંદ કરીને સૌ સમક્ષ મુકવાનું કાર્ય સૌથી વધુ જરુરી અને તાકીદનું છે . આવાં કામોમાં દૈનીકો - સામયીકો ઘણાં મોટાં અને હકારાત્મક પરીણામો લાવી શકે છે .

 આવા જ મહત્ત્વના હેતુસર ગુજરાતનું એક સામયીક (પાક્ષીક)  યથાશક્તી કાર્ય કરી રહ્યું છે જેનું નામ છે ‘નયામાર્ગ’.  આ સામયીકે આજદીન સુધી વંચીતોને માટે જે કર્યું છે તેવું બહુ ઓછાં સામયીકો કરી શકે. સ્વ. ઝીણાભાઈ દરજીના પ્રબળ પુરુષાર્થે કરીને જે કેટલીક સામાજીક પ્રવૃત્તીઓ ગુજરાતમાં આરંભાઈ તેમાં ‘ગુજરાત ખેતવીકાસ પરીષદ’ સંસ્થાનું નામ બહુ ગણનાપાત્ર  છે. આ સંસ્થાએ વંચીતો અને દલીતો માટે જે પાયાનું અને નક્કર કાર્ય કર્યું છે તેને વાચા આપવા માટે ‘નયામાર્ગ’ નામથી આરંભાયેલા આ સામયીકે જબરો પ્રયત્ન કર્યો છે. સમાજસેવા માટે પોતાની બૅન્કની ઉજ્જવળ કારકીર્દીને ઠુકરાવીને આ મહત્ત્વના કાર્યમાં જંપલાવનાર શ્રી. ઈન્દુકુમાર જાની ** આ પાક્ષીકના વર્તમાન તંત્રી છે. વર્ષોથી આ સામયીકના પ્રકાશન દ્વારા તેમણે સમાજના કચડાયેલા આ મોટા અબોલ વર્ગની વાતને વાચા આપી છે. સામાજીક સંતુલન વીનાની કોઈ સેવાને સમાજસેવા કહી શકાય નહીં . ‘નયામાર્ગ’ પોતાની આ વાત ડંકાની ચોટ પર કહે છે.

 ‘નયામાર્ગ’ની એક બીજી પણ વીશેષતા તરફ ધ્યાન ખેંચવાનું મન થાય છે. કોઈ પણ સામયીક પોતાની વાત સમાજના વીશાળ વર્ગ સમક્ષ રજુ કરવા માટે ભાષાના માધ્યમને અવગણી શકે નહીં. ‘નયામાર્ગ’  એ અર્થમાં ગુજરાતીનાં સામયીકોને સરળ માર્ગ બતાવે છે. આપણી ભાષાના પંડીતોએ પોતાનો કક્કો ખરો રાખવા માટે જોડણીના જે અંધાધુંધ નીયમો કરી રાખ્યા છે તેને અતીક્રમીને ‘નયામાર્ગ’ નવો માર્ગ ચીંધી રહ્યું છે. આ સામયીક એવી જોડણીમાં લખાય છે જે ગુજરાતીમાં લખનારા - વાંચનારાને અનુકુળ હોય અને સૌને હાથવગી હોય.

 1999ના જાન્યુઆરીમાં ઉંઝા ખાતે પહેલી જોડણીપરીષદ ભરાઈ ત્યારે તેમાં હાજર રહેલા વીદ્વાનો, કર્મશીલો, સાહીત્યકારો, શીક્ષકો-અધ્યાપકો, તંત્રીઓએ બહુમતીથી જે અત્યંત મહત્ત્વનો નીર્ણય કર્યો, તેમાં ગુજરાતી ભાષાની જોડણીની અરાજકતાની સામેના એક આંદોલનને અવકાશ મળ્યો છે. આપણી ભાષા આજે અઘરી, અતાર્કીક અને અરાજકતાભરી જોડણીએ, સમાજના બહુ મોટા વર્ગને ગુજરાતી લેખન–વાચનથી દુર રાખ્યો છે. તેથી ઉંઝાના એ સંમેલનમાં ઠરાવાયું કેઃ– “ગુજરાતીમાં ‘ઈ-ઉ’ની જોડણીના વીદ્યાપીઠના કોશના નીયમો અતાર્કીક અને ઘણી અસંગતીઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઈ-ઉ’નું હ્રસ્વત્વ-દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી એ નીયમો હવે છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક  ‘ઈ’ અને ‘ઉ’ યોજવા.”

 આ ઠરાવ જેવો મંજુર થયો કે તરત જ એને અનુસરવાનો દૃઢ સંકલ્પ કરનાર અને પુરી નીષ્ઠાથી અમલમાં મુકનાર તે શ્રી . ઈન્દુકુમાર જાની ! ‘નયામાર્ગ’ નો અંક પ્રેસમાં તૈયાર થઈને પડ્યો હોઈ સંમેલન પછીના તરતના બીજા જ અંકથી એમણે આ નવી  ‘ઉંઝાજોડણી’માં અંકો છાપવાનું શરુ કરી દીધું જે અવીરતપણે આજે પણ ચાલી રહ્યું છે. શ્રી. ઈન્દુકુમારે તો સંમેલનનીય પહેલાંથી આ અંગેનો નીર્ણય મનોમન કરી જ લીધો હતો,  બલકે એમણે તો એકવાર હળવાશથી એમ પણ કહ્યું હતું કે, આ આંદોલનના પ્રણેતાઓ પણ જો આમાંથી ડગે તોય  ‘નયામાર્ગ’ તો આ ઠરાવને જ વળગી રહેશે ! આજે ઈન્દુભાઈના સંચાલનથી કાર્યરત ‘ગુજરાત ખેતવીકાસ પરીષદ’ની ઓફીસ પર જ, જેને કોઈ પણ પ્રકારનું ભંડોળ નથી એવી આ ‘ગુજરાતી ભાષાપરીષદ’ની કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, આ પરીષદની કામગીરીના પ્રસાર-પ્રચારના સમાચાર તેમ જ ભાષા વીષયક કટલાક મુદ્દાઓ ચર્ચવાના હેતુસર વીદ્વજ્જનોના લેખો સમાવતી, દર બે મહીને એક વધારાની આઠ પાનાંની  ‘ભાષાવીચાર પુર્તી’ (સંપાદકઃ મનીષી જાની અને કીરણ ત્રીવેદી) પણ ‘નયામાર્ગ’માં એમના સૌજન્યથી નીયમીત પ્રકાશીત થાય છે.

 ‘નયામાર્ગ’ હંમેશ સૌને માર્ગ બતાવી રહ્યું છે ત્યારે   વંચીતો માટેના તેના આ પાયાના અને અતી મહત્ત્વના કાર્યનું વધુ ને વધુ પ્રસારણ થાય અને વંચીતો માટેનો અવાજ વીશ્વસમસ્તના વીશાળ વર્ગને સંભળાય તે પણ એટલુ જ તાકીદનું છે.

 આના જ અનુસંધાને સૌ કોઈ એવું ઈચ્છતા હતા કે ‘નયામાર્ગ’ ઈન્ટરનેટ ઉપર પણ ઉપલબ્ધ થાય. આ સમગ્ર યોજનાનો અર્થાત્ ‘વંચીતલક્ષી વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના’ માટે જેની પ્રતીબદ્ધતા છે તેવા ‘નયામાર્ગ’ને વેબસાઈટનું સ્વરુપ આપવાનો ઉત્તમ વીચાર, ‘ સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકો પૈકીના સુરતના નીવૃત્ત ભાષાશીક્ષક શ્રી. ઉત્તમ ગજ્જરને આવ્યો, જેઓ ‘ઉંઝાજોડણી’ના મીશનરી ધગશવાળા સમર્થક અને પ્રચારક છે . આ વીચાર તથા યોજનાને ટૅકનીકલ સ્વરુપ આપવાના ‘ધર્મકાર્ય’માં, મુળ સુરતના અને હાલ ચેન્નાઈસ્થીત સોફ્ટવેર કંપનીમાં કાર્યરત એવા નવયુવાન મીત્ર ભાઈ શ્રી. હીમાંશુ મીસ્ત્રીનો બહુમુલ્ય સાથ–સહકાર સાંપડ્યો છે.

 વેબસાઈટની સામગ્રીના સંપાદનની અને અંકોને અપલોડ કરવાની જવાબદારી, સુરતના બે શીક્ષકો શ્રી ઉત્તમ ગજજર અને શ્રી સુનીલ શાહ સંભાળવાના છે. સુનીલભાઈ વીજ્ઞાન શીક્ષક છે, યુવાન છે અને ઉભરતા કવી છે.

 આમ, ગુજરાતમાં, ભારતવર્ષમાં અને દુરસુદુર દેશાવરમાં પણ વસતાં લાખો ગુજરાતી પરીવારોમાં હવે ગુજરાતની આ વીચારધારા અને પ્રવૃત્તી વીશેની જાણકારી પહોંચશે. આપ સૌ તે વાંચો, વીચારો, ચર્ચો અને એક માનવતાવાદી પુરુષાર્થ તરીકે યથાશક્તીમતી વંચીતો માટેના આ અવાજને બુલંદ બનાવવા સારુ સમર્થન બક્ષો, બસ એ જ અમારો આનંદ.

 ‘નયામાર્ગ’ના આ નવા માર્ગને હું અંતરના ઉમળકાથી વધાવું છું.

–ડૉ. યોગેન્દ્ર વ્યાસ

પુર્વ નીયામક, ભાષા–સાહીત્યભવન, ગુજરાત યુનીવર્સીટી, અમદાવાદ

સંપર્કઃ ૩૪૭–સરસ્વતીનગર, અમદાવાદ–૩૮૦ ૦૧૫ ફોનઃ (૦૭૯) ૨૬૭૫ ૨૬૭૫

**********************************************************

** શ્રી. ઈન્દુકુમાર જાની, તંત્રીઃ ‘નયામાર્ગ’ પાક્ષીક, અને કાર્યકારી પ્રમુખઃ ‘ખેતવીકાસ પરીષદ’, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, આશ્રમ માર્ગ, અમદાવાદ–૩૮૦ ૦૨૭

ફોનઃ કાર્યાલય–૦૭૯ ૨૭૫૫ ૭૭૭૨   ઘરેઃ–૦૭૯ ૨૬૩૦ ૩૪૧૫

For your comment and opinion write to
Sunil Shah : nayaamaarg@gmail.com

  ‘નયા માર્ગ’ ના જુના અંકો જોવા–ડાઉનલોડ કરવા નીચે જુના અંકો પર કલીક કરવું.

દવે સાહેબને જુભાઈનો એક પત્ર.

સ્નેહી શ્રી હરીશભાઈ,

અમદાવાદના જ, જીવરાજપાર્કથી લખનાર જુગલભાઈના જય (નેટ)જગત !

તમે અને હું બન્ને અમદાવાદમાં જ શ્વસી રહ્યા હોવા છતાં એની ખબર છેક સુરેશભાઈના બ્લોગમાં મદદરુપ બનવાનું થયું ત્યારે જ પડી ! હું અહીં જીવરાજપાર્કે અને તમે છે…..ક થલતેજે.

જોયું, એક જ ગામમાં છતાં મેં છે…ને લંબાવીને આ નહીંવત્ એવા દુરત્ત્વને કેટલું વધારી મુક્યું !!  અમેરીકામાં બેઠેલા સુરેશભાઈના સંદર્ભે આપણી દુરી તો કાંઈ વીસાતમાં ન ગણાય. છતાં વાતનો રેલો જ્યારે પગ નીચે આવી જાય છે ત્યારે પ્રમાણ- ભાન જતું રહેતું હોય છે…!

આપણે બંને આમ તો એક જ વ્યવસાયી ગણાઈએ, ખરું ને હરીશભાઈ. પણ જ્યારે ખબર પડી કે આપણે હવે આ ઈંન્ટરનેટ પર પણ સરખું અને સાથે જ કામ કરવાનું છે ત્યારે મને ઘણી નીરાંત થઈ ગયેલી. મને તો આ મેઈલ કરવા સીવાય કશું જ આવડે નૈ. તમે આ કામ સરળ કરી મુકેલું.

સુરેશભાઈ જોકે આંગળીને ટેરવે જ હતા; એમની મદદ ગમે ત્યારે અને ગમે તેટલીવાર લઈ શકાય તેમ હતું જ છતાં એક જ ગામમાં હોવાનો અહેસાસ મને તમારી મદદ જ લેવા મજબુર કરતો રહેલો. અને તમે પણ આ નવા નીશાળીયાને સમયની બંધણી વગર હાથટેકો આપતાં જ રહ્યા !

એ દીવસોય વીતી ગયા. એક દીવસ મને થયું કે સુરેશભાઈએ બનાવી આપેલો ‘શાણી વણીનો શબદ’ જેવો બીજો બ્લોગ હું જાતે કેમ ન બનાવી શકું ?! કોમ્પ્યુટરની કોઈ જ પ્રકારની જાણકારી વગર મેં નીર્ણય કરી લીધેલો. પણ અધવચ્ચે જ ગાડું ઘાંચમાં ! આપણા રામ તો મુંઝાઈને બેઠા, દાઢીએ હાથ દઈને ! હવે શું ? અને એક બ્લોગ તો અરધોપરધો બનાવીને ટીંગાડી જ દીધો - નહીં આવડે એમ માનીને !

પણ ઓચીંતા જ તમે યાદ આવ્યા.

         કોઈ તકલીફ પડી ને તમે યાદ આવ્યા; 
         કશો વાંધો પડ્યો ને તમે યાદ આવ્યા !
         મેં તો કીધા કૈં  નુસખા અપાર -   
         બહુ અટવાયો,ત્યાં જ તમે યાદ આવ્યા !
અને એ દીવસે હારીથાકીને તમારા ફોનનું (સદાય હાથવગું) દોરડું ખખડાવ્યું ! આપણા ફોન વીજ્યન આપતા નથી, એટલે તમે કેવી તકલીફ લઈને મારી ભેર્યે આવ્યા હશો એ તો ‘જોઈ’ શક્યો નહોતો, પણ સતત ત્રણેક દી’ સુધી તમે મને મારો નવો સ્વતંત્ર બ્લોગ ‘NET-ગુર્જરી’ બનાવવામાં દીલ દઈને મદદ કરી ! ને એમ, આ માસ્તર પોતાના નવા, સ્વતંત્ર અને ઉંઝા જોડણીમાંના જગતના સૌ પ્રથમ બ્લોગના ધણી થયા !!

એ જ બ્લોગ ઉપર તમે ગુજરાતનો ઈતીહાસ લખ્યો. એના એકપછી એક કેટલા બધા હપ્તા તમે લખી આપ્યા ! આજે એ બ્લોગ ગુજરાતી ભાષા અને સાહીત્યનું કેટલું બધું ભાતું પીરસી શક્યો છે ! આપણી ભાષાનાં અનેક મુલ્યવાન પાસાં એના ઉપર મુકાતાં રહ્યાં છે, ને હજી મુકાતાં જ રહેશે.

પણ જ્યાં સુધી NET-ગુર્જરીને લાગેવળગે છે ત્યાં સુધી એના બાહ્ય નકશીકામ પર તમારાં આંગળાંની છાપ મને સ્પષ્ટ અને સુરેખ દેખાયાં કરી છે.

આપણે બન્ને શીક્ષકો. બન્નેએ કેટલીક વાતો એકસુરથી મુક્યાં-કહ્યાં કરી છે. આ નેટજગતમાં ઘણું ખુટે છે એમ કહેવા કરતાં ઘણું બધું થઈ શક્યું છે એનો સંતોષ એટલો બધો અને એવડો મોટો છે કે આપણી વાતો બહુ સંભળાતી નથી છતાં એનો ક્ષોભ નથી. આપણા બ્લોગર્સના મોટાભાગનાંઓ ગુજ.ભાષાના માણસો જ નથી ! છતાં એ લોકોની ભાષાની તડપન જ એવડીબધી છે કે એમની પારાવાર ભાષાભુલોય મને તો મોંઢે ચોંટેલા માખણશી અરઘાતી લાગી છે !!

નેટ પર ઉંઝાજોડણી બાબતે યુધ્ધ છેડાઈ પડ્યું ત્યારેય મને એમાં માઠું લાગ્યું નહોતું. મને ખબર હતી કે આ વાત જ અહીં અસ્થાને છે. જોડણી જેવી સાવ છેલ્લે આવતી નાનકડી વાતને આગળ કરીને મારે આ નેટસ્થ લોકો દ્વારા જે કાંઈ ભાષાપ્રેમથી ઉગી-ફુટી નીકળ્યું છે તેને સહેજ પણ લસરકો પડવા દેવો નહોતો….

અને મારો તો એ અધીકાર પણ નહોતો ! હું તો આ જગતમાં બહુ મોડો આવ્યો હતો. ભાષાનો માણસ ખરો, પણ ભુલો કરીનેય મઝાનું ને પારાવાર લખનારાંઓ પાસે તો હું નવોસવો ગણાઉં. મને બહુ જ આનંદ હતો, એ વાતે કે દુનીયાભરમાં સૌ આ નેટડે (નેસડે ?) બેસીને કેવા જલસા કરે છે ! મને પડેલી ગાળો એ આનંદમાં ક્યાંય ભુલાઈ-વીલાઈ ગયેલી હો, હરીશભાઈ.

આ દીવસો યાદ કરું છું ત્યારે હું મને ધન્યતાના શીખરે જોઉં છું. કાલસવારનો આવેલો એક માસ્તર, જુકાકા બનીને, ઘણાંકનો ભાષાશીક્ષક બનીને પોતાનાં કવીતડાંય ઠબકારવા માંડે એનો હરખ અવર્ણનીય છે ને રહેશે…

હરીશભાઈ, તમે અને હું બન્ને, આ ક્ષેત્રે એવું કશું કરી શકવાના ખરા, જેના દ્વારા આવતીકાલની નેટ-ગુજરાતીના વીકાસમાં, એના ભંડોળમાં, એની શુદ્ધીમાં, એની કક્ષામાં અને એની અનેકવીધ શક્યતાઓમાં કાંઈ પણ કીમતી ફાળારુપે આપી શકીએ ?

જો ના, તો ચંત્યા નથી. પણ જો હા, તો જોજો હરીશભાઈ, આપણો ભાષાપ્રેમ કશુંક તો એવું કરી જ શકશે જેને માટે આપણે ગૌરવ લઈ શકીએ. આજે તમારા બ્લોગ પર તમે જે પીરસી શક્યા છો, પીરસી રહ્યા છો એનું મુલ્ય બહુ ઉંચું છે. હુંય પાછો તો નહીં જ પડું. …

પણ હજી પંથ લાંબો - બહુ લાંબો છે. તમારી ફરીયાદોમાં વજુદ છે. આપણે સૌ જે દીશામાં દોડી રહ્યાં છીએ તેમાં માહીતીની દૃષ્ટીએ અપાર હોવા છતાં ભાષાની દૃષ્ટીએ, આયોજનબદ્ધતાની દૃષ્ટીએ અને કંઈક એકતાની દૃષ્ટીએ કશુંક ખુટતું હોવાની ચીંતા રહ્યાં કરે છે…

પણ મારો વીશ્વાસ મને કહે છે કે આપણને આ સ્થીતીએ લાવી મુકનારને જ એ ચીંતા સોંપી દઈએ નહીં ?! મુ.રતીકાકા પાસે એ કીરતાર કેટલું કામ કરાવી શક્યો છે ! રતીકાકાનું કામ, એમનાં દામ અને એમનો દમ (શક્તી), એમની ભાષાપ્રીતી, એમની ખંત અને ચીવટ…કેટકેટલું ગણાવી શકાય એટલું છે !! એમને કીરતારે ગુજ.ભાષાનો ગોવર્ધન ઉપાડવાની આજ્ઞા અને શક્તી બન્ને આપ્યાં. આપણને કીરતાર લાકડીટેકણ કરવાની શક્તી  નહીં આપે શું ?!!

શક્તીની માગણી આપણે કરશું જ; બાકી ભક્તીની વાતે તો આપણેય ટુંકા નહીં જ પડીએ, એટલી ધરપત આજે, આ પત્રનીમીત્તે સૌને આપીશું, હરીશભાઈ ?

આજે આટલું બસ. ( આ કાંઈ થોડું તો નથી જ !)ઝાઝું લખ્યું, થોડું ગણીને વાંચશો !! તમારો સહયોગી,

–જુગલકીશોર

ઉત્તમ રચનાઓનું ઉત્તમ રસદર્શન !!

આપો

તેડવા  દોડું  ને ચૂલે  ઊભરાતાં  દૂધ
      ભલે, પાંગરાંનો કિચૂડાટ આપો !
કંઠે     હાલરડાંનાં     રૂંધ્યા     કપોત,
       એને ઊડવા ગગન થોડું આપો !

લઈ લ્યો સુગંધ જેવું ફરવાનું આમતેમ,
             દઈ દ્યો સુવડાવે એવી શૂળ !
પોલાં   પગલાંને   હવે અડક્યા વિનાની
        રોજ વલખે છે આંગણાંની ધૂળ !
        એમાં કમળ ઉગાડી એક આપો !

કોરાકડાક  મારા  પાલવની ભાત્યમાં
                  પડવા દ્યો પચરંગી ડાઘ !
એનાથી ફળફૂલે ઝૂમશે આ બાંધણીના
              વણમ્હોર્યા બાવન સૌ બાગ !
                   ખાલીપો કાંખનો ઉથાપો.

                            –ભાનુપ્રસાદ પંડ્યા
=======================
કાવ્યનું રસદર્શન                 

–સ્વ. જયંત કોઠારી

જોઈ શકાય છે કે અહીં દોહ્યલાં વાંઝીયા-મેણાંનું દુ:ખ નથી, ‘ખાલીપો કાંખનો ઉથાપો’ એવી કેવળ માતૃત્ત્વ-ઝંખના છે. આંગણું તો છે, પણ આંગણાંનું લીંપણ નથી, કેવળ ધુળ છે, જેમાં પોલાં પગલાં પડવાની અપેક્ષા વ્યક્ત થઈ છે. સાડલો મેલો થવાની વાત અહીં પણ છે, પણ અહીં એ સીધી કહેવાયેલી છે, લોકગીતમાં ‘ખોળાનો ખુંદનાર’માં એનું સુચન હતું. ‘ખોળાનો ખુંદનાર અને પગલીનો પાડનાર અહીં નથી ને એને સ્થાને ‘ડાઘ’ અને ‘પગલાં’ જ છે તેથી બાળક પરોક્ષ થઈ ગયેલ છે ને પુત્ર, પુત્રી બન્નેને સમાસ મળે એવી સ્થીતી સર્જાઈ છે.લોકગીતમાં ધોયોધફોયો સાડલો હતો, અહીં ‘કોરોકડાક’છે એ ફરક પણ સુચક છે. ધોયોધફોયો સાડલો સ્ત્રીની ક્રીયાશીલતાનો નીર્દેશ કરતો હતો તે હવે રહેતું નથી. આંગણું લીંપવાની ક્રીયા ગઈ તેમ કપડાં ધોવાની પણ ગઈ. લોકગીતમાં સ્ત્રીના રોજીંદા જીવનની ઘટમાળ સાથે માતૃત્ત્વઝંખના વણાઈને આવતી હતી તે હવે અહીં રહેતું નથી.

ઉપરાંત, લોકગીત બાલચેષ્ટાઓની અપેક્ષાના એકમાત્ર દોરથી રચાયેલું છે. અહીં એવું નથી. હાલરડાં ગાવાની ને સુઈ જવું પડે એવી અપેક્ષા વ્યક્ત થઈ છે. એ સ્ત્રીની ચેષ્ટાઓ છે ને પાંગરાંનો કીચુડાટ એ તો વળી જુદી જ ક્રીયા છે. લોકગીતમાં બાળકની છબી સતત આપણી સામે રહે છે તેને સ્થાને અહીં જુદીજુદી રીતે વ્યક્ત થતો માતૃત્ત્વનો મનોભાવ આપણી સામે રહે છે.

આધુનીક કવીએ પોતા તરફથી કેટલીક વીગતો પુરી છે એમાં હાલરડાં ગાવાની ઈચ્છા એક સુંદર ઉમેરો કરે છે, પણ બાળક આવતાં સ્ત્રીના મુક્ત વીહાર પર અંકુશ આવે પણ સુવડાવે એવી શુળ શું ? પ્રસુતીની ઘટનાનો આમાં નીર્દેશ છે ? તો એનું ઔચીત્ય શંકાસ્પદ છે. કાવ્યની બાકીની પંક્તીઓ બાળકના જન્મ પછીની સ્થીતીને વર્ણવે છે તેના કરતાં બાળકના જન્મ સમયની વેદનાની વાત કંઈક જુદો અનુભવપ્રદેશ ને અનુભવનું સ્વરુપ દર્શાવે . કાવ્યની એકલક્ષીતા એથી ખંડીત ન થાય ? ‘તેડવા દોડું ને ચુલે ઉભરાતાં દુધ’ તો બરાબર છે પણ એની સાથે પાંગરાંના કીચુડાટને શો સંબંધ ? હા, બાળકના રડવાને સંબંધ હોઈ શકે.

આધુનીક કવીની રચનામાં આ રીતે આયાસ વરતાય છે તે ઉપરાંત એમાં પ્રૌઢ વીદગ્ધ કવીત્ત્વની મુદ્રા પણ પડેલી છે. ‘કંઠે હાલરડાંનાં રુંધ્યાં કપોત’માં એક નુતન ચમત્કૃતીભરી રુપકરચના છે, તો પગલાંને કમળ ને પચરંગી ડાઘને ફળફુલે મ્હોરેલાં ભાગ રુપે કલ્પીને પગલાં અને ડાઘને માત્ર સ્વીકાર્ય નહીં પણ શોભાની વસ્તુઓ બનાવી દીધી છે અને એ રીતે લોકકવીતાના વર્ણનને નવી રસાત્મકતા અર્પી છે. લોકકવીતાએ અભીધાથી કામ લીધું છે, એમાં ભાવવ્યંજના છે પણ એ અભીધામુલક છે; આધુનીક કવીએ લક્ષણાથી કામ લીધું છે, એની ભાવવ્યંજના લક્ષણામુલક છે. લોકકવીતા મનોહર બની છે - એનાં અભીધાચીત્રોથી, એની સરલ તળપદી અભીવ્યક્તીથી, એની સંવાદી વાક્યભાતોથી, એનાં ટુંકાં ચરણોની લયબદ્ધ ગતીથી; આધુનીક કવીતા પ્રભાવક બની છે - એના અલંકારચીત્રોથી, એ અલંકારચીત્રોની વીગતબહુલતાથી, દીર્ઘસંકુલ વાક્ય-રચનાઓથી અને પ્રલંબ ગીતલયથી.

પણ નવા જીવનસંદર્ભની વીગતો લઈને માતૃત્વઝંખનાને વ્યક્ત કરતા કાવ્ય માટેની આપણી અપેક્ષા હજુ ઉભી જ રહે છે. (તા. 24-2-’95)

કાવ્યની ઉંચી ઉડ્ડાન ભરતું જાણીતું લોકગીત !!

[NET-ગુર્જરી પર કાર્યભાર વધી જતાં આવાં બહુ જ કીમતી રસદર્શનો હવે પછી પત્ર રુપે પ્રગટ કરીશું જેથી એને 'પત્રમ્ પુષ્પમ્' બ્લોગ પર મુકીને જગ્યાના ભારણને ઉકેલી શકાય -જુ.]

—————————————————–

વાંઝીયા-મેણાં માતા, દોહ્યલાં.
(એક લોકગીતનું રસદર્શન) 

                                                   –સ્વ.જયંત કોઠારી.
લીંપ્યું   ને ગુંપ્યું  મારું  આંગણું,
પગલીનો પાડનાર દ્યોને, રન્નાદે !
    વાંઝીયા-મેણાં,માતા દોહ્યલાં.

દળણાં   દળીને   ઉભી   રહી,
પાળ્યુંનો પાડનાર દ્યોને,રન્નાદે !
   વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

મહીડાં     વલોવી    ઉભી   રહી,
માખણનો માગનાર દ્યોને, રન્નાદે !
   વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

પાણી   ભરીને   ઉભી    રહી,
છેડાનો ઝાલનાર દ્યોને, રન્નાદે !
   વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

રોટલા   ઘડીને   ઉભી    રહી,
ચાનકીનો માગનાર દ્યોને રન્નાદે !
    વાંઝીયા-મેણાં,માતા દોહ્યલાં.

ધોયોધફોયો મારો  મારો સાડલો,
ખોળાનો  ખુંદનાર  દ્યોને, રન્નાદે !
    વાંઝીયા-મેણાં, માતા દોહ્યલાં.

આ લોકગીતની એક અભીવ્યક્તીરીતીએ મારું હંમેશા ધ્યાન ખેંચ્યું છે. ની:સંતાન સ્ત્રીની પુત્રઝંખનાનો એમાં ઉદ્ગાર છે છતાં ‘પુત્ર’ શબ્દ એમાં ક્યાંય આવતો નથી. સ્ત્રી રન્નાદે પાસે માગે છે પુત્ર નહીં, પણ ‘પગલીનો પાડનાર’,'છેડાનો ઝાલનાર’, ‘ખોળાનો ખુંદનાર’ વગેરે. પુત્રનો સીધો ઉલ્લેખ ટાળીને એની ચેષ્ટાઓથી જ એને મુર્ત કરવાની આ અભીવ્યક્તીર