પત્રો. –જુગલકીશોર.
પત્ર-અરીસામાં વાંચનારને પત્ર લખનારનો ચહેરો દેખાય છે. વ્યક્તી-વ્યક્તી વચ્ચેના પત્રો ક્યારેક રુ-બ-રુથીય અદકેરો તોષ-પરીતોષ આપી જાય છે.
વ્યક્ત થવા માટે પત્રોનું માધ્યમ ઋજુ, સંવેદનશીલ અને સ્પંદનશીલ હોય છે. એ લચકીલું પણ ખુબ છે. એમાં વ્યક્ત થવા માટે ભાષા કોઈ અડચણ કે અટકાયત કરતી નથી. ખુબ જ સરળતાથી, સહજતાથી સંવેદનોના ઋજુ તાર પર સવાર થઈને સામે પાર, લક્ષીત વ્યક્તી સુધી જ નહીં, એની ભીતર પણ જઈ પહોંચી શકાય છે !
પત્રો ઉર્મીકાવ્યનું સ્થાન પામી શકે છે. આવા પત્રોમાં લડાઈ-ઝઘડા કે વ્યવહારોના દારુગોળાનો ભાર લાદીને એના નજાકતભર્યા પોત-ટેક્ષ્ચર-ને નુકસાન પહોંચાડવાની ચેષ્ટા ફુલ ઉપર ધગધગતા અંગારા છાંટવા જેવી બની રહે છે.
ખેપીયા દ્વારા કે પક્ષીઓની ચાંચે-પાંખે મોકલાવાતા સંદેશાઓનો એક સમય હતો. સંદેશો લઈ જનાર ખેપીયો હોય કે પક્ષી; જળપ્રવાહ હોય કે સંકેતો; સંદેશવાહક તરીકે એનું સ્થાન સંદેશો મોકલનાર અને મેળવનાર બંને માટે અત્યંત વહાલભર્યું હોય છે. આજનો ટપાલી પણ સૌનું માનીતું પાત્ર રહ્યો છે. મહાકવી કાલીદાસે અષાઢના મેઘને દુત બનાવીને સંસ્કૃતસાહીત્યમાં જ નહીં, વીશ્વસાહીત્યમાં પણ કાવ્યસંદેશાને બહુ જ ઉંચાઈ અપાવી દીધી છે.
પત્રોમાં જેનું અત્યંત મહત્ત્વ છે તે સંદેશા ઉપરાંત પત્રની ભાષા, એમાંના સંકેતો, પત્ર કે સંદેશો મોકલવાની રીત કે શૈલી, પત્રનું સ્વરુપ વગેરે પણ ઓછું મુલ્ય ધરાવતાં નથી. વનસ્પતીમાં થતી ફલીનીકરણની પ્રક્રીયામાં પવનનું સ્થાન કેવું અદકેરું ને કાવ્યમય હોય છે ! પવનની લહેર ઉપર સવાર થઈને માઈલો દુર પહોંચી જતાં સુક્ષ્મ પુંકેસરો કે પછી પવનની પાંખે બેસીને પુષ્પોની ને ધુપસળીની સુગંધ જે રીતે ફરી વળે છે, પત્રો પણ એવી જ રીતે સ્પંદનો, પ્રેરણાઓ, ઉર્મીઓ, સંવેદનાઓનો પમરાટ ફેલાવનારાં બની રહે છે.
પત્ર મોકલનાર કે મેળવનારના હૃદયતાર હલાવી મુકનારા પત્રો તો શબ્દવાદ્યો છે, જે વીણા કે સારંગીના તારની જેમ હૃદયના કોમળ-તીવ્ર સ્વરોને અલંકૃત-ઝંકૃત કરી મુકે છે !
પ્રતીપત્રો